ચળકતું હોઇ એ બધું સોનુ ન હોય, પરંતુ ક્યારેક ચળકતી ધાતુ સોનીઓને પણ ચકરાવે ચડાવે છે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક નવતર પ્રકારની છેતરપિંડી ચાલી રહી છે. આ નવા પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે ઝવેરીઓ. સૌરાષ્ટ્રમાં અસલી સોનાના બદલે નકલી સોનાની લેતી-દેતી થતા સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે.
રાજકોટનું સોની બજાર, જ્યાં તૈયાર થાય છે સોનાના આભૂષણો, જે દેશ અને દુનિયાના ગ્રાહકો સુધી પહોંચે છે. સમગ્ર દેશમાં રાજકોટના સોની કારીગરોની કારીગરી ખૂબ જ વખણાય છે. પંરતુ રાજકોટના વેપારીઓ અને કુશળ કારીગરો છેતરપિંડીના શિકાર બની રહ્યા છે.
રાજકોટના સોની બજારના વેપારીઓને અસલી સોનાના દાગીનાને બદલે હવે નકલી બિસ્કિટ પધરાવી દેવાનો ખેલ શરૂ થયો છે. આ ગોરખધંધો ચાલી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ભોગ બની રહ્યા છે સોની વેપારીઓ.પ્રાપ્ત માહીતી અનુસાર સોની કારીગર કે વેપારીઓ પાસેથી સોનાના દાગીના હોલસેલમાં ખરીદવામાં આવે છે અથવા તો ઓર્ડર આપી દાગીના બનાવવામાં આવે છે. દાગીનાને આંગડિયા કે કુરિયર દ્વારા મંગાવવામાં આવે છે. આભૂષણોના ઓર્ડર આપનાર બદલામાં ૨૪ કેરેટ સોનાનું બિસ્કિટ મોકલે છે. અહીં જ થાય છે છેતરપિંડી કારણ કે દાગીનાના બદલામાં મોકલાતું સોનાનું બિસ્કિટ ખરેખર નકલી હોય છે. સોનાના નકલી બિસ્કિટનો ભોગ અનેક સોની વેપારીઓ અને કારીગરો બન્યા છે.સોની વેપારીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે કાયદાની આટી-ઘૂંટીને કારણે વેપારીઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે તો ભોગ બનનાર કેટલાક કિસ્સામાં વેપારી પોલીસ ફરિયાદ કરે છે.
મોટા ભાગના કિસ્સામાં પોલીસ ફરિયાદ થતી નથી.સોનાના નકલી બિસ્કિટ પધરાવી દેવાના ગોરખધંધાનો ભોગ સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ અને કારીગરો બન્યા છે. પરંતુ ખાતાકીય તપાસ અને પોલીસની ઝંઝટથી કંટાળી ફરિયાદ જ નથી થતી. નકલી બિસ્કિટ બનાવવા પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિઓનો સમૂહ હોવાની પ્રબળ આશંકા છે. આ ટોળકી અને ગોરખધંધા પાછળ રહેલી કોઈ ચોક્કસ ગેંગને પકડવી પોલીસ માટે પણ પડકાર રૂપ છે.