સુપ્રીમ કોર્ટે આજે રોહિગ્યા શરણાર્થીઓને મળી રહેલી મૂળભૂત સુવિધાને લઇને કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરી હત. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે, દિલ્હી અને હરિયાણામાં સ્થિત ત્રણ રોહિગ્યા છાવણીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી મૂળભૂત સુવિધાને લઇને વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવે. સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચે કેન્દ્ર સરકારને મેવાત, ફરિદાબાદ અને દિલ્હી સ્થિત ત્રણ રોહિગ્યા છાવણીને લઇને ચાર સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો હતો. આ સમગ્ર મામલામાં વધુ સુનાવણી ૯મી મેના દિવસે હાથ ધરાશે. જસ્ટિસ ખાનવીલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ આ બેંચમાં રહેલા છે. ભારતમાં રહેતા રોહિગ્યા શરણાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેમને છાવણીમાં શૌચાલય, પીવાના પાણીની સુવિધા અને બીજી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેના કારણે બાળકો અને મોટી વયના લોકો ડાયેરિયાના શિકાર થઇ રહ્યા છે. ૧૯મી માર્ચના દિવસે સુપ્રીમ કોર્ટે રોહિગ્યા શરણાર્થીઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કેન્દ્રની એવી દલીલને સ્વીકારી લીધી હતી કે, દેશમાં રોહિગ્યા શરણાર્થીઓ જટિલ સમસ્યા ઉભી કરી શકે છે. તેમના કારણે ભારતના મ્યાનમાર, બાંગ્લાદેશની સાથે રાજદ્વારી સંબંધોને માઠી અસર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશમાં રોહિગ્યા શરણાર્થી છાવણીમાં આરોગ્ય અને શિક્ષણ સંબંધિત સુવિધાની ખાતરી કરવા માટે તે કોઇ વચગાળાનો આદેશ આપશે નહી. કેન્દ્ર સરકારના દાવાની સામે કેટલીક નક્કર બાબતો સપાટી ઉપર આવી રહી નથી. સુપ્રીમ કોર્ટ રોહિગ્યા શરણાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળા કેટલક તર્કદાર દલીલો કરી હતી. અરજીમાં રોહિગ્યા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી નથી. ખાસ કરીને મૂળભૂત સુવિધાઓ પણ મળી રહી નથી. અરજીમાં માંગ કરાઈ હતી કે, જે રીતે તમિળનાડુમાં શ્રીલંકન તમિળ શરણાર્થીઓને શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેવી જ રીતે તેમને પણ સુવિધાઓ મળવી જોઇએ. મ્યાનમારના પશ્ચિમી રખાઈન પ્રાંતમાં હિંસા બાદ ભારત ભાગીને આવેલા રોહિગ્યા જમ્મુ, હૈદરાબાદ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં રહે છે.
પાછલી પોસ્ટ