યુદ્ધવિરામનો ભંગ કરીને પોતાની ગતિવિધિને વધુ તીવ્ર બનાવીને પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી અને જમ્મુ જિલ્લાના સુંદરબની, નૌશેરા અને ખોર સેક્ટરમાં અંકુશરેખાની નજીક અગ્રિમ વિસ્તારોમાં ફરી ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન તરફથી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી જેના લીધે પાકિસ્તાની સૈનિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લામાં અંકુશરેખાની નજીક નૌશેરા, કલલ અને સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. આજે સવારે ૧૦.૩૦ વાગે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી ગઇ હતી. પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાત્રે ખોર સેક્ટરના ચકાલા અને બાલ્દુ વિસ્તારમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા ઉપર વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે.
રાજૌરી જિલ્લામાં અંકુશરેખાની નજીક અગ્રિમ ચોકી અને નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુરક્ષાના પગલા લઇને રાજૌરી જિલ્લા અને પૂંચ જિલ્લાના મેનધાર સેક્ટરમાં અંકુશરેખાની નજીક ૭૨ સ્કુલોને બંધ કરાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની સેના દ્વારા ૨૨મી જાન્યુઆરી બાદથી આંતરરાષ્ટ્રીય સરહદની નજીક યુદ્ધવિરામ ભંગને લઇને કોઇ અહેવાલ આવી રહ્યા ન હતા પરંતુ આતંકવાદીઓને ઘુસાડવાના હેતુસર વારંવાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આજે ફરી એકવાર જમ્મુમાં અંકુશરેખા નજીક ગોળીબાર કરવામાં આવ્યા બાદ નાગરિક વિસ્તારોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
પાછલી પોસ્ટ