શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાજપથ કલબ પાસે આવેલા આરબીઝેડ જવેલર્સમાંથી દાગીના બનાવવાનું કામ કરતો ખુદ તેમનો જ બંગાળી કારીગર રૂ.૧૧ લાખની કિંમતનું ૩૪૧ ગ્રામ સોનુ લઇ રફુચક્કર થઇ જતાં જવેલર્સવાળા અને ગ્રાહકો દોડતા થયા હતા. જવેલર્સ શોપના અધિકૃત અધિકારી દ્વારા આ સમગ્ર મામલે આરોપી બંગાળી કારીગર શાહીનુર મોન્ડલ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવાઇ છે, જેના આધારે પોલીસને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાજપથ કલબ પાસે આવેલા આરબીઝેડ જવેલર્સમાં બંગાળના અનેક કારીગરો ગ્રાહકોના ઓર્ડર મુજબ દાગીના બનાવવાનું કામ કરે છે. મૂળ બંગાળના દિકપલા મજપરનો રહેવાસી શાહીનુર મોન્ડલ(ઉ.વ.૨૪) પણ અહીં કારીગર તરીકે નોકરી કરતો હતો. તા.૨જી ઓગસ્ટથી લઇ તા.૨૩ સપ્ટેમ્બર દરમ્યાન તેને અલગ-અલગ રીતે કુલ ૬૬૩ ગ્રામ સોનુ દાગીના બનાવવા આપવામાં આવ્યું હતું, તે પૈકી તેણે ૩૩૨ ગ્રામ સોનુ દાગીના બનાવીને પરત કર્યું હતુ પરંતુ બાકીનું ૩૪૧ ગ્રામ સોનુ તેણે ઓફિસમાં પરત કર્યું ન હતું. તા.૨૩મી સપ્ટેમ્બરે આરોપી બંગાળી કારીગર શાહીનુર નોકરી પરથી કોઇને કંઇ કહ્યા વગર જતો રહ્યો હતો. તેની સાથે કામ કરતા કારીગરો પણ કામ છોડી જતા રહ્યા હતા પરંતુ તેઓએ તેમનું સોનુ જમા કરાવી દીધુ હતુ જયારે શાહીનુરે ૩૪૧ ગ્રામ સોનુ જમા કરાવ્યું ન હતું. દરમ્યાન જવેલર્સ શોપના અધિકારીએ શાહીનુરનો મોબાઇલ પર સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે, તે પોતાના વતન ગયો છે અને સોનુ તેની પાસે છે, હું કહું ત્યાં આવીને સોનું લઇ જજો. આટલુ કહી શાહીનુરે ફોન બંધ કરી દીધો હતો. એ પછી તેનો સંપર્ક નહી થઇ શકતાં જવેલર્સ શોપના અધિકારીએ તેની વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી કારીગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાછલી પોસ્ટ