શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, સમગ્ર પરિવારની ચિંતા કરતિ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરવી આવશ્યક છે. ગુજરાત સરકારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યની વિશેષ ચિંતા કરી છે અને યોજનાઓ બનાવી છે.
સાણંદ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત રાજ્યકક્ષાના મહિલા આરોગ્ય દિનની ઉજવણી કરવામં આવી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવજાત દીકરી, તરુણી, યુવતી, સગર્ભા-ધાત્રી માતા, વિધવા અને વૃદ્ધ મહિલા એમ તમામ ઉંમરની મહિલા માટે રાજ્ય સરકારે યોજનાઓ અમલી બનાવી છે. જેમાં ૧૦૮, ૧૮૧-અભયમ, વ્હાલી દીકરી, સરસ્વતી વંદના, મા કાર્ડ યોજના, વિધવા અને નિરાધાર વૃદ્ધ સહાય જે વિવિધ મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી આ યોજનાઓનો વ્યાપ વધારી અન્ય લોકો સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ સાણંદ વિસ્તારમાં જાતિપ્રમાણની સારી પરિસ્થિતીને પગલે આરોગ્ય તંત્રની કામગીરીને બિરદાવી હતી અને લોકોને તાલુકામાં ૧૦૨૧ જાતિપ્રમાણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ કહ્યું કે, હાલમાં જ સરકારે વિધવા સહાય પેન્શનના લાભાર્થી માટેના ધારાધોરણ હળવા કર્યા છે. જેનાથી ૨૧ વષર્થી મોટો દિકરો હોવા છતાં વિધવા મહિલાને પેન્શન મળશે. આ સુધારા દ્વારા વધુ વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ સ્ત્રી અને બાળ કલ્યાણકારી કામગીરીથી લોકોને વાકેફ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦ થી વધારે મહિલાઓએ લાભ લીધો હતો. હિમોગ્લોબીનની તપાસ, ટીબી, ગર્ભાશય અને સ્તનના કેન્સરની અદ્યતન તપાસ કરાવી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પ્રસુતા મૃત્યુ નિવારણ કીટ તથા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ દ્વારા તૈયાર કરવામાં આવેલા માતૃ અને બાળ કલ્યાણ ક્લિનિક માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ સહિત હેલ્થ ટીમ તથા અધિકારીશ્રીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.