મહેન્દ્ર ટાંક, ગીર- સોમનાથ
ગીર-સોમનાથથી અમારા સંવાદદાતા મહેન્દ્ર ટાંક જણાવે છે કે, રાજ્યના અનેક વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વેરાવળ તાલુકાના પાલડી ગામે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવતો કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાલડી ગામે ચાલુ વરસાદે રસ્તાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. હાસ્યાસ્પદ લાગે તેવી ઘટના પાલડી ગામે જોવા મળી છે. પ્રજાના પૈસાથી તાગડધિન્ના કરતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની નીતિ આ ઘટના જોતાં સ્પષ્ટ થઈ હતી.વેરાવળના પાલડી ગામનો ડામર રોડ ઘણા સમયથી બિસમાર બન્યો હતો. અનેક રજૂઆત બાદ રોડનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી અણઆવડત ચાલુ વરસાદમાં પણ ડામર રોડનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. પાલડી-જાનુડાને જોડતા રસ્તાનું કામ વરસાદ વચ્ચે ચાલુ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ આ અંગો વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં છતાં રસ્તાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. પાલડી-જાનુડા ગામને જોડતો રસ્તો વર્ષો બાદ બનાવવમાં આવી રહ્યો છે જેને લઈને ગ્રામજનોમાં આનંદ હતો પણ ચાલુ વરસાદમાં રસ્તાનું કામ ચાલુ હોવાથી સ્થાનિકોએ રસ્તાનું કામ બંધ કરવા જણાવ્યું હતું. પરંતુ કોઈ અધિકારીએ કે કોન્ટ્રાક્ટરે ગામ લોકોની વાત સાંભળી નહતી અને ચાલુ વરસાદમાં પણ કામ ચાલુ રાખ્યું હતું.