Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં બોગસ સહી દ્વારા ૫૦ લીકર પરમિટ અપાઈ : તપાસના આદેશ અપાયા

ગુજરાતમાં કહેવા પૂરતી શરાબબંધી છે જેના કારણે શરાબના નામે અઢળક ભ્રષ્ટાચાર થાય છે. રાજ્યમાં પરમિટ લઈને શરાબ પી શકાય છે તેના કારણે પરમિટ કઢાવવામાં પણ મોટા પાયે ઘાલમેલ ચાલે છે. પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે તાજેતરમાં લીકર પરમીટના એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં અમદાવાદમાં બોગસ સહીના આધારે ૫૦ લિકર પરમિટ ઈશ્યૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સમગ્ર ગુજરાતમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
એક અહેવાલ મુજબ ગુજરાત નશાબંધી અને એક્સાઈઝ વિભાગની અમદાવાદ જિલ્લાની ઓફિસમાં છેતરપિંડી અને બનાવટનું કૌભાંડ જાણવા મળ્યું છે. અધિકારીઓને તપાસ દરમિયાન ૫૦થી વધુ લીકર પરમિટની અરજીઓ માં બોગસ સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લા કચેરી દ્વારા રૂટિન ચેક અપ દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું હતું. તેના પરથી લાગે છે કે રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આવી જ રીતે બોગસ સહીના આધારે લીકર પરમીટ અપાઈ હોઈ શકે છે. આ મામલો બહાર આવ્યા પછી બોગસ પૂરાવાના આધારે મેળવાયેલી પરમીટને પકડવા રાજ્યભરમાં તપાસ શરૂ કરવામાં આવી છે.જાણકાર સૂત્રો કહે છે કે શરાબની પરમીટ આપવામાં એટલા બધા કૌભાંડો ચાલે છે કે આ તો હજુ હિમશીલાની ટોચ છે. વાસ્તવમાં આ કૌભાંડ ઘણી બધી જગ્યાએ પ્રસરી ગયું હોય તેવી શક્યતા છે. હાલમાં ૨૬ જિલ્લા ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ થઈ રહી છે.
આ સ્કેમની તપાસમાં જાણવા મળ્યું છે કે શરાબ પીવા માટે મૃતક લોકોની પરમીટનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે. પર્યટકોમાં ફેવરિટ ગણાતા એક જિલ્લામાં આવો કેસ બહાર આવ્યો છે જેમાં મૃત વ્યક્તિની પરમીટનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે શરાબ વેચવામાં આવતો હતો. આવા કૌભાંડ આંતરિક લોકોની ભાગીદારી વગર શક્ય નથી તેથી ઓથોરિટીને શંકા છે કે ડિપાર્ટમેન્ટના એક ભૂતપૂર્વ કર્મચારીએ લગભગ ૧૫ એજન્ટોની એક રિંગ બનાવી છે જે શરાબની પરમીટ ઈચ્છતા હોય તેવા ધનાઢ્ય લોકોને ટાર્ગેટ કરતા હતા. આ એજન્ટોની ગેરરિતીઓના કારણે અમદાવાદ જિલ્લા ઓફિસે તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે લગભગ એક પખવાડિયાથી એજન્ટોને પ્રોહિબિશન વિભાગની અમદાવાદ જિલ્લા કચેરીમાં પ્રવેશવાની મનાઈ છે, જે લોકો શરાબની પરમીટ ઈચ્છે છે અથવા પરમીટ રિન્યુ કરાવવા માંગે છે તેમને વેરિફિકેશન માટે હવે રૂબરુ બોલાવવામાં આવે છે. એજન્ટોના કારણે અહીં એટલો બધો ત્રાસ છે કે સ્ટાફ કામ પણ કરી શકતો નથી.આમ તો આ કૌભાંડ ઘણા સમયથી ચાલુ હશે પરંતુ તે બહાર આવ્યું ન હતું. તાજેતરમાં ડિસ્ટ્રીક્ટ ઓફિસ ખાતે નવા ઈન-ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી ત્યાર પછી આ કૌભાંડ બહાર આવ્યું છે. આ વિશે તપાસ હજુ ચાલુ છે અને ઉચ્ચ અધિકારીઓને પરિસ્થિતિની જાણ કરવામાં આવી છે.કેટલીક શંકાસ્પદ અરજીઓની તપાસ કરવામાં આવતા તેમાં સહીમાં ગરબડ હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર પછી આ આખું સ્કેમ બહાર આવ્યું છે. પરિણામે હાલમાં પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટની ઓફિસ પર રુબરુમાં વેરિફિકેશન માટે આવતા લોકોની સંખ્યા વધી ગઈ છે. હવે રોજના લગભગ ૧૦૦થી ૧૫૦ લોકો પરમીટ મેળવવા અથવા રિન્યુ કરાવવા માટે આવે છે. અમદાવાદમાં લગભગ ૧૫,૦૦૦ લોકો પાસે શરાબ રાખવાની પરવાનગી છે. તેમણે આરોગ્ય સહિતના જુદા જુદા કારણોથી પરમિટ મેળવેલી છે. નવી પરમીટ એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને પરમિટને બેથી પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે. હાલમાં પરમિટ માટે પ્રોસેસિંગ ફી તરીકે ૪૦૦૦ રૂપિયા ચાર્જ કરાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સિસ્ટમને એકદમ સ્વચ્છ કરવી હોય તો લિકર પરમીટની અરજીઓ માત્ર ઓનલાઈન સ્વીકારવી જોઈએ અને તેનું વેરિફિકેશન રુબરુમાં થવું જોઈએ.

Related posts

लुटेरी दुल्हन सहित चार आरोपी को पुलिस ने गिरफ्तार किया

aapnugujarat

થરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

વિરમગામના લીંબડ ખાતે પપેટ શો દ્વારા ટીબી તથા રક્તપિત્ત અંગે જનજાગૃતિ કરવામાં આવી

aapnugujarat
UA-96247877-1