દેશમાં કોરોના સંક્રમણના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બુધવારે દેશમાં કોરોનાના ૩.૮૦ લાખ કેસ નોંધાયા જે અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૩,૫૯૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ ૩૦ લાખ થઈ ગઈ છે જે ખૂબ જ ચિંતાજનક છે. ગત વર્ષે વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યાર બાદ પહેલી વખત સક્રિય દર્દીઓનો આંકડો ૩૦ લાખે પહોંચ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે તુલના કરીએ તો અમેરિકામાં સર્વાધિક આશરે ૭૦ લાખ જેટલા સક્રિય દર્દીઓ છે. ૩૦ લાખના આંકડા સાથે ભારત બીજા ક્રમે છે. બ્રાઝિલમાં આશરે ૧૦ લાખ જેટલા સક્રિય કેસ છે અને તે ત્રીજા નંબરે છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા સતત વધી રહી છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ દેશમાં ૧.૩૮ લાખ સક્રિય દર્દીઓ હતા. તેને ૫ લાખ સુધી પહોંચતા ૪૦ દિવસ લાગ્યા હતા. ત્યાર બાદ ૧૨ દિવસમાં ૧૦ લાખનો આંકડો પૂરો થયો હતો અને પછી માત્ર ૧૦ દિવસમાં વધુ ૧૦ લાખ કેસ અને ૯ દિવસમાં ૧૦ લાખ સક્રિય દર્દીઓ વધી ગયા.
ચિંતાની વાત છે કે બુધવારે ૩ લાખ ૭૯ હજાર ૧૬૪ નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે. એક દિવસમાં અત્યારસુધીમાં નવા દર્દીઓની સંખ્યા આ સૌથી વધુ છે. આ પહેલાં ૨૭ એપ્રિલના રોજ સૌથી વધુ ૩.૬૨ લાખ દર્દીઓની ઓળખ કરાઈ હતી. આ સિવાય ૨૪ કલાકમાં ૩,૬૪૬ લોકોનાં મોત થયાં છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં મંગળવારે ૩,૨૮૬ લોકોનાં મોત નોંધાયાં હતાં.
મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો લાગુ હોવા છતાં કોરોનાની ગતિ ધીમી પડવાનું નામ લેતી નથી. બુધવારે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા ૬૩,૩૦૯ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૪૪,૭૩,૩૯૪ અને મૃતકોનો આંકડો ૬૭,૨૧૪ પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં રાજ્યમાં ૯૮૫ લોકોના કોરોનાથી મોત થયા.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બુધવારે બહાર પડેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા ૧૪૧૨૦ દર્દીઓ નોંધાયા છે. એક જ દિવસમાં ૧૭૪ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે ૮૫૯૫ દર્દીઓ રિકવર પણ થયા. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૫૭૪૦ અને ત્યારબાદ સુરતમાં ૨૧૧૬ નવા દર્દીઓ નોંધાયા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ