૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો, આજે ૧ વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં તાંડવ મચાવનાર કોરોનાની હાલ બીજી લહેર ચાલી રહી છે. પહેલાં કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતકી છે. બીજી લહેરના ૮૪ દિવસમાં ગુજરાતે કોરોનાનો ભયાવહ ચહેરો જોયો છે, જેમાં અઢી લાખ જેટલા કેસ નોંધાયા છે અને ૨ હજારથી વધુને આ કિલર કોરોના ભરખી ગયો છે.
દરરોજ રજૂ કરવામાં આવતા સરકારી આંકડા પર નજર ફેરવીએ તો ૧૯ માર્ચથી ૩૧ જાન્યુઆરી સુધીની પ્રથમ લહેરના પ્રારંભના ૮૪ દિવસમાં રાજ્યમાં ૨૨૦૬૭ કેસ નોંધાયા હતા અને ૧૩૮૫ મોત થયાં હતાં. એટલે કે ૧૯ માર્ચથી ૧૧ જૂન સુધીના ૮૪ દિવસમાં રાજ્યમાં સરેરાશ ૨૬૩ કેસ અને ૧૬ મોત થયાં હતાં. જ્યારે બીજી લહેર ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઇ છે. ૨૬ એપ્રિલ સુધીના બીજી લહેરના ૮૪ દિવસમાં ૨ લાખ ૪૮ હજાર ૮૩૩ કેસ અને ૨૦૯૯ મોત નોંધાચાં છે, એટલે કે આ સમયગાળામાં દરરોજ સરેરાશ ૨૯૬૨ કેસ અને ૨૫ મોત થયાં છે. મતલબ કે કુલ કેસના ૪૯ ટકા કેસ અને ૩૨ ટકા મોત માત્ર ૮૪ દિવસમાં નોંધાયાં છે.
સૌરાષ્ટ્રમાં પહેલી લહેરમાં ૬૩૪ કેસ અને ૩૧ મોત થયાં હતાં, જ્યારે બીજી લહેરમાં સૌરાષ્ટ્રમાં જાણે કે વિસ્ફોટ થયો હોય તેમ ૪૫૭૯૮ કેસ અને ૫૩૪ મોત નોંધાયાં છે. રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી વધુ કેસ અને મોત જામનગરમાં થયાં છે.
પ્રથમ લહેરના ૮૪ દિવસમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૧૮૪ કેસ અને ૫૯ મોત નોંધાયાં હતાં, જ્યારે બીજી લહેરના ૮૪ દિવસમાં ૨૧૮૪૩ કેસ અને ૧૮૮ મોત સરકારી ચોપડે નોંધાયાં છે, જેમાં કેસના મામલે મહેસાણા ૬૯૮૦ના આંક સાથે ટોચ પર છે તો સાબરકાંઠામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૪૫ મોત છેલ્લા ૮૪ દિવસમાં સરકાર ખાતામાં નોંધાયા છે.
મધ્ય ગુજરાતમાં પહેલી લહેરમાં ૧૭૮૧૬ કેસ નોંધાયા હતા, જ્યારે સરકારી ચોપડે ૧૧૧૭ મોતની નોંધણી થઇ હતી, જેની સામે બીજી લહેરમાં મધ્ય ગુજરાતમાં ૧ લાખ ૧૪ હજાર ૩૯૨ કેસ નોંધાયા છે તો મોત પહેલી લહેરની સરખામણીએ ઘટીને ૭૭૯ નોંધાયાં છે.
દક્ષિણ ગુજરાતમાં પહેલી લહેરમાં ૨૫૬૨ કેસ અને ૯૮ મોત નોંધાયાં હતાં, જ્યારે બીજી લહેરમાં ૬૩૭૬૭ કેસ અને ૫૮૬ મોત સરકારી ચોપડે નોંધયા છે. સુરત ઉપરાંત ભરૂચમાં સૌથી વધુ કેસ અને મોત નોંધાયાં છે. પહેલી લહેરમાં ડાંગમાં આ સમયગાળામાં માત્ર ૪ કેસ હતા, જ્યારે આ વખતે ૩૩૦ કેસ અને ૧૦ મોત છે, જે ચિંતાનો વિષય છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ