દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઇને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મંગળવારે જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓ (ડીપીએસયુ), ડીઆરડીઓ અને ઑર્ડિનન્સ ફૅક્ટરી બૉર્ડ (ઓએફબી)ને ઑક્સિજનના સિલિન્ડરો અને વધારાના ખાટલા જેમ બને એમ જલદીથી રાજ્ય સરકારોને આપવા જણાવ્યું હતું.
સંરક્ષણના ઉચ્ચાધિકારીઓ સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઇને રાજનાથે ત્રણે સેના અને સંરક્ષણ ક્ષેત્રની અન્ય સંસ્થાઓને મૅડિકલના સાધનો અને ક્ષમતા વધારવા માટે ઇમરજન્સીમાં વાપરવા માટે નાણાકીય સત્તાને મંજૂરી આપી હતી.
સંરક્ષણ પ્રધાને સશસ્ત્ર સેનાને દેશભરના સિવિલ પ્રશાસન સાથે ગાઢ સંપર્કમાં રહેવા અને કોઇપણ પ્રકારની જરૂરિયાત પ્રમાણે મદદ કરવા જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ડિફૅન્સ રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ હળવા લડાયક વિમાન તેજસ માટે વાપરવા વિકસીત કરેલી પોતાની ઑક્સિજનનું ઉત્પાદન કરવાની ટૅક્નોલોજી ખાનગી ઉદ્યોગને આપી છે.
એમણે જણાવ્યું હતું કે લખનઊમાં ૪૫૦ ખાટલાની, વારાણસીમાં ૭૫૦ ખાટલાની અને અમદાવાદમાં ૯૦૦ ખાટલાની હૉસ્પિટલ શરૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે.
આગળની પોસ્ટ