ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, વડોદરાના ડભોઇમાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.જે અંતર્ગત ડભોઇ શહેર ના તમામ વરિષ્ઠ નાગરિકોને 31મી માર્ચ પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડભોઇ મામલતદાર ના અધ્યક્ષસ્થાને ડભોઇના મુસ્લિમ ડોક્ટરો ,તેમજ મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે ડભોઇ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડભોઇ મામલતદાર પુંજા સહાનીએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના પ્રતિરોધક રસી ડભોઇના તમામ 45 થી 59 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિઓ તેમજ 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને ડભોઇ શહેર ખાતે આવેલ રસીકરણ કેન્દ્રો ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ત્યારે સંબંધિત વ્યક્તિઓએ આ રસીકરણમાં જોડાઇને આ રસી લેવી આવશ્યક છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે તેથી અફવાઓથી દુર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી કોરોના સંક્રમણ સામે સુરક્ષિત બનવું અને સંક્રમણને ફેલાતું અટકાવવું એ તમામ નાગરિકોને ફરજ છે. ડભોઇ શહેર તાલુકાના 45 થી 60 વર્ષના કોઈપણ કો મોર્બિડ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તે માટે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સક્રિય થવા તેમણે અપીલ કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના ડોક્ટર સોયબ ભાઈ બાબુજી વાલા એ મુસ્લિમ સમાજના લોકોને ડર રાખ્યા વગર વેક્સિન લેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ડોક્ટર સિનેમા વાલા ,ડોક્ટર આદમભાઈ ખત્રી ,ડોક્ટર જુનેદ ભાઈ વિગેરે ડોક્ટરો મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરૂઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રવીણ ભાઈ જોશી ,વકીલ અશ્વિનભાઈ પટેલ ,વકીલ જાવેદ ભાઈ પઠાણ, ઇબ્રાહીમભાઇ મહુડા વાલા, યાકુબભાઈ ઘાંચી , યુસુફભાઈ ફાતિયા ઉપસ્થિત રહ્યા હતા.