જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, જેતલસરની સૃષ્ટિની હત્યાના મામલો હવે આખા દેશમાં ગાજી રહ્યો છે. અહીં રોજ તમામ રાજકીય પક્ષના લોકો મૃતક તરુણીના પરિવારને શાંત્વના આપવા આવીને પક્ષાપક્ષીની વાત ભૂલી રહ્યા છે. આજે બપોરે જેતલસર ભાજપના આગેવાનો અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સહિતના મોટા કાફલા સાથે દોડી આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ તો શિક્ષણ મેળવવાની ઉંમરે આવી રીતે દીકરીની હત્યા થઇ જાય તે દુઃખદ છે. આવા બનાવોને કડક હાથે ડામી દેવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે મુખ્ય મંત્રીની સૂચનાથી રાજ્ય મંત્રી જયેશ રાદડિયા સતત મૃતક તરુણીના પરિવાર સાથે સંપર્કમાં છે.
જેતલસરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે આ તકે મંત્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયા, રાજકોટ જિલ્લા પંચાયાત અધ્યક્ષ ભુપતભાઇ બોદર, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા, પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહિત ભાજપના આગેવાનો સાથે હાજર હતા .
પાટીલે કહ્યું કે જેતલસરમાં એક પટેલ દીકરીની હત્યાથી આખા ગામમાં ભયનું વાતાવરણ ફેલાય ગયાનો અહેસાસ થાય છે. પરંતુ ગ્રામજનોએ ચિંતા કરવાની જરૂર નથી . ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરવા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીના અને જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ પી.જે.બાંટવા સહિતની પોલીસને જરૂરી સૂચનાઓ, આદેશો કરી દેવાયા છે.સી.આર. પાટીલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર સૃષ્ટિ હત્યા કેસની સરકાર પાસે વિગતો, માહિતી છે. સરકાર સૃષ્ટિના પરિવારની પડખે છે. આ પરિવારે નિર્ભીક પણે જ્યા પણ જરૂર પડે ત્યાં પોલીસને સહકાર આપવાનો છે.