બિહારના રાજકારણમાં મોટા ભૂકંપ સમાન સમાચાર આવ્યા છે. જ્યાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી રાલોસપાને જદયૂમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાલોસપાના સુપ્રીમો કુશવાહા પટનાના દિપાલી ગાર્ડનમાં પાર્ટીની બે દિવસીય બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારને પોતાના મોટા ભાઈ ગણાવ્યા હતા.
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ હતું કે, અમે વિધાનસભા ચૂંટણીના જનાદેશનું સન્માન કરતા આ નિર્ણય લીધો છે. સમાજના નિચલા વર્ગ માટે સંઘર્ષ ચાલુ રહેશે, પણ તેનું સ્વરૂપ થોડુ બદલાઈ જશે. હવે આગળની લડાઈ નીતિશજીના નેતૃત્વમાં લડીશું. તેમને બિહારની જનતાએ કેટલીય વાર મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. મીડિયા સાથે વાતચીત કર્યા બાદ કુશવાહા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જદયૂ કાર્યાલયે જવા રવાના થઈ ગયા હતા. જ્યાં આજે વિધિવત રીતે મિલન સમારંભ યોજવામાં આવશે. નીતિશ કુમારની હાજરીમાં કુશવાહા જદયૂમાં શામેલ થશે.
ઉપેન્દ્ર કુશવાહા લગભગ આઠ વર્ષના લાંબા સમય બાદ જેડીયુમાં પાછા આવી રહ્યા છે. તેમની આખી પાર્ટી જેડીયુમાં વિલય થઈ ગઈ છે. કોઈરી સમુદાયમાં આવતા કુશવાહાની લાંબી રાજકીય કારકિર્દી રહી છે અને તે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી સંભાળી ચુક્યા છે.