કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ભાજપ પર હિંદુત્વના મુદ્દે નિશાન સાધ્યું છે. સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, તેઓ ખુદ પણ હિંદુ છે.સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમનું નામ શું છે? તેમનું નામ સિદ્ધા-રામા છે. તેઓ ૧૦૦ ટકા હિંદુ છે. દક્ષિણ કર્ણાટકમાં કોમવાદી તણાવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાતાઓના ધ્રુવીકરણની કોશિશ છે. તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું કે, તેઓ પણ હિંદુ છે, પરંતુ ભાજપ જેવા નહીં. ભાજપ લોકોને વિભાજિત કરવાની કોશિશ કરી રહ્યું છે. ભાજપ કર્ણાટકમાં યુપીનું પુનરાવર્તન કરવાની કોશિશ કરી રહ્યું છે.
પોતાના પુત્ર યતિન્દ્રને વરુણાથી ટિકિટ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે,આનો નિર્ણય હાઇકમાન્ડ લેશે. યતિન્દ્ર ૨૦૦૮થી વરુણાનો ધારાસભ્ય છે. આ તકે તેમણે પૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામીની ટીકા પર પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે કહ્યું કે, તેમને લોકોએ પસંદ કર્યા છે અને કોઇપણ તેમના પર સ્વામિત્વનો દાવો ન કરી શકે.પોતાના ભવિષ્ય પરની યોજના પર વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થયા બાદ મૈસૂરમાં રહેશે. પરંતુ, સક્રિય રાજકારણમાંથી ક્યારે નિવૃત્ત થશે તેના પર કશું કહ્યું ન હતું. મહત્વપૂર્ણ છેકે કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ૨૦૧૮માં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.