જમ્મુ કાશ્મીરમાં અમરનાથની એક બસ દુર્ઘટનાનો શિકાર થઇ છે. આ બનાવ જમ્મુના રામબાણ જિલ્લામાં બનીહાલ નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે ઉપર બન્યો હોવાના અહેવાલ મળ્યા છે. બસ ઉંડી ખીણમાં પડી જતાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં મોતનો આંકડો વધી શકે છે. હાલમાં ૧૬ લોકોના મોતના અહેવાલને ચર્ચા અને તપાસ ચાલી રહી છે. જ્યારે ૩૫ ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી માટે સેનાના જવાનો પહોંચી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, ગયા સોમવારે મોડી રાત્રે ૮.૨૦ વાગ્યાના આસપાસ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી.
સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો. ત્યારે રાત્ર આ હુમલો કરાયો હતો. વર્ષ ૨૦૦૦ બાદથી ત્રાસવાદીઓનો આ સૌથી મોટો હુમલો હતો. અમરનાથ શ્રદ્ધાળુઓને લઇને જતી બસમાં કેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને આ શ્રદ્ધાળુઓ ક્યાના હતા તે સંદર્ભમાં હજુ સુધી માહિતી મળી શકી નથી. શોધખોળ ચાલી રહી છે. તેમના નામ અને સરનામા મેળવી લેવાના પ્રયાસ પણ શરૂ થયા છે પરંતુ આમા વિલંબ થઇ શકે છે. હાલમાં જ ગુજરાતના શ્રદ્ધાળુઓને આવરી લેતી બસ ઉપર આતંકવાદી હુમલો કરાયો હતો. બસ ઉંડી ખીણમાં ખાબકી હોવાથી માહિતી મેળવવામાં સમય લાગી શકે છે.