ભારતની સૌથી મોટી આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસ અથવા તો ટીસીએસે તેના ઉત્તરપ્રદેશ ઓપરેશનને મજબૂત બનાવવાના ભાગરુપે લખનૌ સેન્ટરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. નોઇડા, ઇન્દોર અથવા તો અન્ય જગ્યા ઉપર શિફ્ટ થઇ જવા તેના ૧૦૦૦થી વધુ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે. ટીસીએસના પ્રવક્તાએ કહ્યું છે કે, લખનૌ સેન્ટરને બંધ કરવાથી કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢવામાં આવનાર નથી. તમામ કર્મચારીઓને અન્યત્ર સેન્ટરો ઉપર ખસેડી દેવામાં આવશે. ટીસીએસ દ્વારા વારાણસીમાં મોટા બીપીઓ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીમાં આગામી વર્ષે આની રચના કરવામાં આવનાર છે. કેટલાક કર્મચારીઓને ત્યાં પણ ખસેડવામાં આવશે. ટીસીએસના કર્મચારીઓ આ ઘટનાક્રમને લઇને ચિંતિત દેખાઈ રહ્યા છે. ત્યારબાદ તેઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીને દરમિયાનગીરી કરવા કહ્યું હતું. મોડેથી કર્મચારીઓના સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા હાલમાં હાથ ધરાઈ હોવાના અહેવાલ મળ્યા છે. ટીસીએસે કહ્યું છે કે, તેના પ્રોફિટમાં નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૮૨ ટકાનો ઘટાડો થયો છે જેથી આ આંકડો ૫૯૫૦ કરોડ સુધી થયો છે. રેવેન્યુ ગ્રોથમાં એક ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જૂન વચ્ચેના ગાળા દરમિયાન રેવેન્યુ એક ટકા વધીને ૩૦૫૪૩ કરોડ સુધી પહોંચ્યો છે. આજ ગાળા દરમિયાન ટીસીએસે કહ્યું છે કે, વોલ્યુમમાં ૩.૫ ટકાનો વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ, કોમ્યુનિકેશન, મિડિયા અને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ક્લાઇન્ટથી બિઝનેસમાં વધારો થયો છે. ઓપરેશન માર્જિન ૨૫.૧ ટકાથી ઘટીને ૨૩.૪ ટકા થયોછે અને ટીસીએસનો નફો ૬૩૧૮ કરોડ અને રેવન્યુ આંકડો ૩૦૨૮૦ કરોડ રહ્યો છે.