ઝિમ્બાબ્વે સામે વન ડે શ્રેણીમાં પરાજય થયા બાદ શ્રીલંકાના કેપ્ટન એન્જેલો મેથ્યુસે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. મેથ્યુસ આ પરાજયથી ઘણો નિરાશ થયો હતો. વન ડે રેન્કિંગમાં ૧૧મા સ્થાનની ટીમ ઝિમ્બાબ્વેએ પાંચની શ્રેણીમાં શ્રીલંકાને ૩-૨થી હરાવીને પહેલી વાર શ્રીલંકા સામે વન ડે શ્રેણી જીતી છે. એન્જેલો મેથ્યુસે ઝિમ્બાબ્વે સામેના પરાજયને પોતાની કરિયરનો સૌથી દુઃખદ સમય બતાવ્યો છે. પરાજય બાદ તેની કેપ્ટનશિપ સામે સવાલો ઊઠવા માંડ્યા હતા. તેની કેપ્ટનશિપમાં ટીમનું પ્રદર્શનમાં સતત લથડી રહ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ શ્રીલંકાની ટીમ ખાસ કંઈ કરી શકી નહોતી. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમના હેડ કોચ ગ્રેહામ ફોર્ડે પણ પોતાનું પદ છોડી દીધું હતું.વર્ષ ૨૦૧૩માં માહેલા જયવર્દનેએ કેપ્ટન તરીકે રાજીનામું આપ્યા બાદ ૨૫ વર્ષની ઉંમરમાં મેથ્યુસને સૌથી ઓછી ઉંમરના શ્રીલંકન ટેસ્ટ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. ટેસ્ટ કેપ્ટન બન્યા પહેલાં મેથ્યુસે વન ડે અને ટી-૨૦માં શ્રીલંકન ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળી છે. મેથ્યુસની કેપ્ટનશિપના ૩૪ ટેસ્ટમાં ટીમને ૧૩માં જીત અને ૧૫ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.ભારતીય ટીમ પણ પોતાના શ્રીલંકાના પ્રવાસ માટે તૈયાર છે. બંને દેશ વચ્ચે ૨૧ અને ૨૩ જુલાઈએ પ્રેક્ટિસ મેચ રમાવાની છે. ત્યાર બાદ ૨૬ જુલાઈથી ૧૬ ઓગસ્ટ દરમિયાન ત્રણ ટેસ્ટ રમાવાની છે. આ બધી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે. ત્યાર બાદ ૨ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર દરમિયાન પાંચ વન ડે મેચ રમાવાની છે, જ્યારે એકમાત્ર ટી-૨૦ મેચ તા. ૬ સપ્ટેમ્બરે રમાશે.