શનિવાર, ૧૮મી ઑગસ્ટે ભારત સામે શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટેના ૧૩ ખેલાડીઓની ટીમમાં બેન સ્ટૉક્સનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ૧૧ પ્લેયરોની ટીમમાં સ્ટૉક્સને કોના સ્થાને સમાવવો એ ટીમ-મૅનેજમેન્ટ માટે થોડી દ્વિધા બની શકે. સ્પિનર અને આદિલ રશીદને લૉડ્ર્સની બીજી ટેસ્ટમાં બોલિંગ જ નહોતી કરવા મળી અને ટીમના એકમાત્ર દાવમાં તેની બૅટિંગ જ નહોતી આવી. એવું મનાય છે કે સ્ટૉક્સને કદાચ રશીદના સ્થાને લેવામાં આવશે. જોકે, ત્રીજી ટેસ્ટમાં પેસ બોલિંગની ફોજ વધુ મજબૂત કરવાનું નક્કી કરાશે તો જ રશીદને ઇલેવનની બહાર કરવામાં આવશે અને એ સંજોગોમાં ખુદ કૅપ્ટન જૉ રૂટ સ્પિન બોલિંગની જવાબદારી સંભાળશે. જોકે, રશીદને ન કાઢવાનો નિર્ણય લેવાશે તો સ્ટૉક્સને કોને બદલે લેવો એ લાખ રૂપિયાનો સવાલ બની જશે.
ઇંગ્લૅન્ડની ટીમના મુખ્ય પેસ બોલરોમાં જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ, ક્રિસ વૉક્સ અને સૅમ કરૅનનો સમાવેશ છે. એજબૅસ્ટનની પ્રથમ ટેસ્ટમાં સ્ટૉક્સે પ્રથમ દાવમાં બે વિકેટ અને બીજા દાવમાં આખરી દિવસે ચાર વિકેટ લઈને ભારતનો પરાજય નિશ્રિ્ચત કર્યો હતો.
અહીં યાદ અપાવવાની કે ઇંગ્લૅન્ડનો ઓપનિંગ બૅટ્સમૅન કીટૉન જેનિંગ્સ બે ટેસ્ટમાં ખાસ કંઈ સારું નથી રમ્યો. તેના ત્રણ દાવના સ્કોર્સ આ મુજબ હતાઃ ૮, ૪૨ અને ૧૧. જોકે, સ્ટૉક્સને ઇલેવનમાં સમાવવા ઍલસ્ટર કુક અને જેનિંગ્સની જોડી તોડવી કે નહીં અને જેનિંગ્સને કાઢીએ તો કુકની સાથે ઓપનિંગમાં કોને રમાડવો એ ટીમ-મૅનેજમેન્ટ માટે ચર્ચાનો વિષય બનશે.
પાછલી પોસ્ટ