ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાથી કેટલાંક લોકો નિવેદનોમાં-કાર્યક્રમોમાં વિસંવાદીતા સાથે ઉશ્કેરાટ ફેલાવવા અને ગુજરાતમાં અશાંતિ ઊભી કરવાનાં સતત પ્રયાસો કરે છે. પરંતુ ગુજરાતની જનતામાં કયાંય સમર્થન તેમને મળતું નથી. કોઈપણ સેવાકીય કાર્યક્રમો કર્યા વગર માત્ર રાજકીય આડેધડ નિવેદનો કરીને લોકોમાં ઉશ્કેરાટ દ્વારા હિંસા ફેલાય તેવાં કાર્યક્રમો આપીને કેટલાંક લોકો ખેડૂતો, પશુપાલકો અને ગુજરાતની જનતાનું અહિત કરી રહ્યાં છે.દારૂથી વ્યક્તિ, કુટુંબ આર્થિક-સામાજીક રીતે પાયમાલ થાય છે. એટલે જ દારૂ સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કડકમાં કડક દારૂબંધીનો કાયદો કર્યો છે. પરંતુ “દારૂબંધી”ની જેમ “દૂધબંધી” શબ્દ વાપરીને, દૂધ ઢોળી દેવાના નકારાત્મક કાર્યક્રમો કરીને આંદોલનકારીઓએ પોતાની નકારાત્મક માનસિકતા બતાવી છે. જય જય ગરવી ગુજરાતની સંસ્કૃતિ “દૂધ ઢોળી દેવામાં નહીં, પરંતુ લોકોને દૂધ પીવડાવવામાં માને છે.” દૂધબંધીથી પશુપાલકોને ૧૫૦ કરોડ રૂ. નુકશાન થાય અને બાળકથી માંડીને વૃદ્ધ તેમજ હોસ્પીટલોમાં હજારો દર્દીઓ દૂધ વગર રહે તો સ્થિતિ શું થાય ? આટલીપણ સંવેદના સમજી શકતાં નથી. સમગ્ર મિડીયા મિત્રોએ પણ આવા નકારાત્મક કાર્યક્રમની ટીકા કરીને વખોડ્યું છે તે બદલ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાનો શ્રી ભરત પંડયાએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.તમામ દૂધ ઉત્પાદક સંઘોની ૧૮,૫૦૦ દૂધ મંડળીઓએ ૧૪૬ લાખ આવક સામે બે લાખ લીટર દૂધ વધુ ભરીને કહેવાતાં આંદોલનકારીઓને “રૂકજાવનો” સંદેશો આપીને દૂધબંધીનો કાર્યક્રમ સંપૂર્ણ નિષ્ફળ બનાવી દીધો છે. ચૂંટણી નજીક આવે છે ત્યારે ગુજરાતમાં કેટલાંક લોકોને ભાજપ સરકારને ગાળો દેવાની કુટેવ પડી ગઈ છે અને ત્યારે જ તેઓને ગુજરાતના ખેડૂતો, યુવાનો, દલિતો અને ગુજરાતની જનતા યાદ આવે છે પરંતુ આવા કોઈપણ પ્રકારના નકારાત્મક કાર્યક્રમને જાકારો આપીને સાબિત કરી દીધું છે કે ગુજરાતની જનતા શાંતિપ્રિય અને વિકાસપ્રિય છે.પંડયાએ કોંગ્રેસના નેતાઓના નિવેદનોના પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, વિજયભાઈએ રાજકોટમાં અને નિતીનભાઈએ મહેસાણામાં ચૂંટણી લડીશું તેવી જાહેરાત અનેકવાર કરી હોવા છતાં કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી કોંગ્રેસના આંતરીક ઝઘડાઓ છાવરવા, છૂપાવવા અને બીજે ધ્યાન દોરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ માટે મતક્ષેત્ર બદલવાથી માંડીને કઠપૂતળી જેવાં બિનશોભાસ્પદ અને હાસ્યાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે.ગુજરાત કોંગ્રેસના નેતાઓને સોનીયા ગાંધી કે રાહુલ ગાંધીને મળવા માટે ૮-૮ દિવસ બેસી રહેવું પડતું હતું અને તેમને પૂછીને જ પાણી પીવું પડતું હતું એટલું જ નહીં નર્મદા યોજનાના સંદર્ભમાં કેન્દ્રના કોંગ્રેસ નેતૃત્વ સામે એક શબ્દ પણ બોલી શકતાં ન હતાં અને એટલે જ કોંગ્રેસે નર્મદાને વારંવાર ડેમ, ઉંચાઈ, દરવાજા કે વિસ્થાપિતોના મુદ્દે નર્મદાને અટકાવવાનું કામ કર્યું હતું. છેલ્લા કેટલાંક મહિનાથી ટી.વી., મિડિયા દ્વારા કોંગ્રેસની આંતરીક જૂથબંધી ચરમસીમાએ છે તે ગુજરાતની જનતા જોઈ રહી છે. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો ફોટો પોસ્ટર માંથી દૂર કરે છે.કોંગ્રેસમાં સામસામે નિવેદનો, કાર્યક્રમો, બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ દિશા,મુદ્દા અને નેતૃત્વવિહીન છે. કોંગ્રેસના ધારાસભ્ય, જીલ્લા આગેવાનો, કાર્યકર્તાઓને રજૂઆત કરવાનું કોઈ ઠેકાણું નથી અને તે ભાજપની સંગઠન શક્તિ અને સંખ્યાબળ વિશ્વમાં નોંધપાત્ર છે. જેના નેતૃત્વની નોંધ સમગ્ર વિશ્વ લે છે. તેની ટીકા કરે છે ત્યારે ‘ગાંડી ડાહીને શિખામણ આપે’. તેવી એક કહેવત યાદ આવે છે.ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રવાસના સંદર્ભમાં પ્રત્યાઘાત આપતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ દેશમાં ૨૮થી વધુ ચૂંટણીઓ હારી છે. ઈતિહાસ જ કહે છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં જ્યા ફરે છે. ત્યાં ત્યાં કોંગ્રેસ હારે છે અને ભાજપને જ ફાયદો થાય છે.