કોરોનાના કેસ ફરી એકવાર વધતા દિલ્હી સરકાર સાવધ બની છે. દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશના પાંચ રાજ્યોમાંથી દિલ્હી આવતા લોકોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. જે નેગેટિવ આવ્યા બાદ જ તેમને રાજધાનીમાં એન્ટ્રી આપવામાં આવશે.
જે ૫ રાજ્યોના લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબથી દિલ્હીઆવતા લોકોનો સમાવેશ થાય છે. આ લોકો કોરોના વાયરસના ટેસ્ટમાં નેગેટિવ થયા બાદ એન્ટ્રી આપવામાં આવશે.
છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં ૮૬ ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી જ સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારનો આ નિર્ણય ૨૬મી ફેબ્રુઆરીની અડધી રાતથી લઈને ૧૫ માર્ચ સુધી લાગુ રહેશે. આ આદેશ ફ્લાઇટ, ટ્રેન અને બસથી દિલ્હી આવતા લોકો પર લાગુ પડશે. કારથી દિલ્હી આવતા લોકોને આ નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
પદેશમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ફરી વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ચિંતા મહારાષ્ટ્રે વધારી છે જ્યાં કોરોના વાયરસની પરિસ્થિતિ બેકાબૂ હોય તેવી પરિસ્થિતિ છે. જોકે હવે વધુ એક રાજ્યએ વધતાં કેસને જોતાં પહેલી માર્ચથી નવી ગાઈડલાઇન લાગુ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં વધતાં કેસને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબમાં હવે ઈન્ડોર જગ્યાઑ પર ૧૦૦થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે ખુલ્લી જગ્યા પર ૨૦૦ લોકોને ભેગા થવાની પરવાનગી આપવામાં આવશે. સરકારે બધા જ ડિસ્ટ્રિક્ટ કમિશનરને આદેશ આપ્યા છે કે તે પોતાના જિલ્લાઓમાં હોટસ્પોટ વિસ્તારોને અંક્તિ કરે છે અને જરૂર પડે તો નાઈટ કર્ફ્યૂ પણ લગાવી શકાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ગઈ કાલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૧.૫૦ લાખની આસપાસ છે. પરંતુ કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. એકલા કેરળમાં જ ૩૮ ટકા કોરોનાના એક્ટિવ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં ૩૭ ટકા એક્ટિવ કેસ છે.