Aapnu Gujarat
ગુજરાત

સોનિયા દે મર્ડર કેસમાં બેને જન્મટીપની સજા ફટકરાઈ

૨૦૧૧માં કિન્નર સોનિયા દેના ચકચારભર્યા મર્ડર કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે મુખ્ય શાર્પશૂટર ગણેશ ઉર્ફે બંટી સંતોષસીંગ તોમર અને શહેઝાદ હનીફ છીપા નામના બે આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારી છે, જયારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. જેમાં આરોપી પારસ જેઠાલાલ પાધ્યા, વસીમ ઉર્ફે હારૂન પઠાણ અને ગુમાનસીંહ રાજપૂતનો સમાવેશ થાય છે. એડિશનલ સેશન્સ જજ મમતાબહેન ચૌહાણે સોનિયા  દે હત્યા કેસનો ચુકાદો આજે જાહેર કર્યો હતો. શહેરભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, ગત તા.૨૪-૧૧-૨૦૧૧ના રોજ શહેરના રૂપાલી સિનેમા પાસે પકોડીવાળાને ત્યાં સાનિયા દે કિન્નર પકોડી ખાતો હતો એ વખતે શાર્પશૂટરોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી ત્રણ ગોળીઓ ધરબી દઇ તેની હત્યા કરી નાંખી હતી. કિન્નર સોનિયા  દે મર્ડર કેસમાં શહેર ક્રાઇમ બ્રાંચે આરોપી વસીમ,  શહેઝાદ, શાર્પશૂટર ગણેશ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુલાસો થયો હતો કે, સોનિયા  દેના મર્ડર માટે સંજુ દે અને તેના પતિ શહેઝાદે મધ્યપ્રદેશના શાર્પશૂટર ગણેશને સોપારી આપી હતી. કિન્નર ગેંગની સ્પર્ધા અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સંજુ દે એ સોનિયા દે ઉર્ફે સોનિયા માસીની હત્યા કરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ખૂબ જ ચકચારભર્યો અને સંવેદનશીલ એવા આ કેસનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફથી ૨૨ જેટલા સાક્ષીઓ અને ૪૨ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. કોર્ટે સાંયોગિક પુરાવાઓના આધારે આરોપી શહેઝાદ હનીફ છીપા અને મુખ્ય શાર્પશૂટર ગણેશ ઉર્ફે બંટી સંતોષસીંગ તોમરને દોષિત ઠરાવી આ બંને આરોપીઓને આજીવન કેદની સખત સજા ફટકારી હતી. જયારે બાકીના ત્રણ આરોપીઓ ગુમાનસિંહ રાજપૂત, પારસ જેઠાલાલ પાધ્યા અને વાસિમ ઉર્ફે હારુન પઠાણને નિર્દોષ ઠરાવ્યા હતા.

Related posts

નમામી દેવી નર્મદે મહોત્સવની બોડેલી તાલુકામાં ઉજવણી કરાઈ

aapnugujarat

કાંધલ જાડેજાને દોઢ વર્ષની કેદ

aapnugujarat

પાટણ કોંગ્રેસમાં ભડકો, ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ આગેવાનોના રાજીનામા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1