વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે સરહદી વિવાદ વચ્ચે બ્રિકસ નેતાઓની બેઠક દરમિયાન બેઠક થનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્ને નેતાઓ આ વાતચીતમાં સરહદી વિવાદના પ્રશ્ને ચર્ચા કરશે. ભારત-ચીન વચ્ચે ભુતાનના ડોકમલા ક્ષેત્રને લઇને હાલમાં જોરદાર વિવાદ છે. ચીનના નાયબ વિદેશ પ્રધાન લી બેએડોન્ગે કહ્યુ છે કે આ બેઠક જી-૨૦ શિખર સંમેલન દરમિયાન જર્મનીના હેમબર્ગમાં થશે. આ પહેલા મોદી અને જિનપિંગની મુલાકાત ગયા મહિનામાં અસ્તાનામાં થઇ હતી. બન્ને નેતાઓ શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન શિખર બેઠક દરમિયાન મળ્યા હતા. પરંતુ સરહદી સમસ્યા સર્જાઇ ગયા બાદ બન્ને નેતાઓની આ પ્રથમ બેઠક થશે. બન્ને નેતા સિક્કિમ સરહદ પર ટેન્શનને લઇને વાતચીત કરવા જઇ રહ્યા છે. આવી જ સ્થિતી જ્યારે જિનપિંગ ભારત આવ્યા હતા ત્યારે પણ સર્જાઇ હતી. સપ્ટેમ્બર ૨૦૧૪માં વેસ્ટર્ન સેક્ટરના ચુમાન સરહદને લઇને વિવાદ થયો હતો. બેએડોન્ગે કહ્યુ છે કે આ બેઠકનુ નેતૃત્વ જિનપિંગ કરવા જઇ રહ્યા છે. આ વખતે બ્રિકસ દેશોની અધ્યક્ષતા કરવાની તક ચીનને મળી છે. તેમણે કહ્યુ હતુ કે ચીની પ્રમુખ જુદા જુદા દેશોના નેતાઓ સાથે દ્ધિપક્ષીય વાતચીત પણ કરનાર છે. ચીની વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે ભારતીય સેનાના જવાનો ભુતાનની જાણ વગર ડોકા લામાં ઘુસી ગયા હતા. ચીન અને ભુટાન વચ્ચે કોઇ રાજદ્ધારી સંબંધ નથી. ત્યારબાદ ચીનને આ પ્રકારની માહિતી ક્યાંથી મળી તે મોટો પ્રશ્ન છે. ચીનની દલીલ છે કે ભારતીય સેનાના જવાનો ડોકા લામાં પ્રવેશી રહ્યા છે તે અંગેની માહિતી ભુતાનને પહેલાથી ન હતી.