૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સનો કેસ સંજય દત્તનો હજી પીછો છોડે એવું લાગતું નથી. આ બોલીવૂડ અભિનેતાને જેલમાંથી વહેલો છોડવામાં આવ્યો હોવા મામલે વિરોધ થયો છે અને સંજયની જેલમુક્તિ વાજબી છે એ સાબિત કરવા મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં સંજયને જેલમાંથી વહેલો છોડી મૂકવાનો નિર્ણય વાજબી છે એવું દર્શાવતું સોગંદનામું નોંધાવે.
ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર શસ્ત્ર (રાઈફલ) રાખવાના ગુનાસર સંજયને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. એ રાઈફલ ૧૯૯૩ની ૧૨મી માર્ચે મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી વિસ્ફોટોમાં વપરાયેલા એક કન્સાઈનમેન્ટનો ભાગ હતી. મુંબઈના એ ભયાનક વિસ્ફોટોએ ૨૫૭ જણનો જાન લીધો હતો અને બીજાં ૭૦૦થી વધારે લોકોને ઘાયલ કર્યા હતા.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર પ્રાજક્તા શિંદેએ આજે હાઈકોર્ટને જણાવ્યું હતું કે આ કેસના સંદર્ભમાં રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોની કોર્ટમાં ઉપસ્થિત થશે. શિંદેએ સોગંદનામું નોંધાવવા માટે કોર્ટ પાસે સમય માગ્યો હતો.ત્યારે કોર્ટે આ સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખવાનું જણાવ્યું હતું.
હાઈકોર્ટે ગઈ વેળાની સુનાવણી વખતે સરકાર પાસેથી એ જાણવાની ઈચ્છા દર્શાવી હતી કે સંજય દત્તને વહેલી જેલમુક્તિનો નિર્ણય લેવા માટે કયા માપદંડો અને પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવ્યું હતું.
કેસની તપાસ તથા લાંબો સમય સુધી ચાલેલા મુકદ્દમા દરમિયાન સંજય દત્તે ૧૮ મહિના જેલમાં ગાળ્યા હતા.જેલવાસ દરમિયાન સંજયને ૨૦૩ના ડિસેંબરમાં ૯૦ દિવસ અને ત્યારબાદ બીજા ૩૦ દિવસ પેરોલ માટે મંજૂર કર્યા હતા.
પાછલી પોસ્ટ