૨૦૧૧માં કિન્નર સોનિયા દેના ચકચારભર્યા મર્ડર કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે મુખ્ય શાર્પશૂટર ગણેશ અને શહેઝાદ છીપા નામના બે આરોઓને દોષિત ઠરાવ્યા છે, જયારે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે. જો કે, સેશન્સ કોર્ટ દ્વારા કેસનો સજા અંગેનો સત્તાવાર ચુકાદો આવતીકાલે સંભળાવાય તેવી શકયતા છે. શહેરભરમાં જબરદસ્ત ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, ગત તા.૨૪-૧૧-૨૦૧૧ના રોજ શહેરના રૂપાલી સિનેમા પાસે પકોડીવાળાને ત્યાં સોનિય દે કિન્નર પકોડી ખાતો હતો એ વખતે શાર્પશૂટરોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી ત્રણ ગોળીઓ ધરબી દઇ તેની હત્યા કરી નાંખી હતી. કિન્નર સોનિયા દે મર્ડર કેસમાં શહેર ક્રાઇમ બ્રાંચે આરોપી વસીમ, રેનુ રાજપૂત, શહેઝાદ, શાર્પશૂટર ગણેશ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુલાસો થયો હતો કે, સાનિયા દેના મર્ડર માટે સંજુ દે અને તેના પતિ શહેઝાદે મધ્યપ્રદેશના શાર્પશૂટર ગણેશને સોપારી આપી હતી. કિન્નર ગેંગની સ્પર્ધા અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સંજુ દે એ સાનિયા દે ઉર્ફે સોનિયા માસીની હત્યા કરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ખૂબ જ ચકચારભર્યો અને સંવેદનશીલ એવા આ કેસનો ટ્રાયલ ચાલી જતાં સરકારપક્ષ તરફથી ૨૨ જેટલા સાક્ષીઓ અને ૪૨ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. કોર્ટે સાંયોગિક પુરાવાઓના આધારે આરોપી શહેઝાદ છીપા અને મુખ્ય શાર્પશૂટર ગણેશને દોષિત ઠરાવ્યા હતા, જયારે બાકીના ત્રણ આરોપીઓ ગુમાનસિંહ, પારસ અને વાસિમ ઉર્ફે વાસુને નિર્દોષ ઠરાવ્યા હતા. જો કે, અદાલત દ્વારા સજા અંગેનો ચુકાદો આવતીકાલે જાહેર કરાય તેવી શકયતા છે.
પાછલી પોસ્ટ