સુરતમાં ટેક્સટાઇલ કારોબારીઓમાં પણ હવે વિભાજનની સ્થિતિ જોવા મળી રહી છે. જીએસટી સામેના વિરોધમાં આજે વેપારીઓના એક ગ્રુપે ટેક્સટાઇલ માર્કેટની પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ વણસી જતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જેમાં કેટલાકને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. રવિવારના દિવસે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં મળેલી વેપાર પ્રગતિ સંઘ અને સંબંધિતોની બેઠકમાં જુદા જુદા વિષય પર ચર્ચા થઇ હતી. બેઠકમાં વેપારીઓએ હડતાળ નહીં કરીને દુકાનો યથાવતરુપે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો જેના ભાગરુપે આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો ખોલવામાં આવી હતી તે વખતે વેપારીઓના એક ગ્રુપે પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જીએસટીના વિરોધમાં બંધ અને કાપડ માર્કેટ ચાલુ રાખવા એમ બે જુદા જુદા મત ધરાવતા ગ્રુપ થઇ ગયા છે. ટેક્સટાઇલ માર્કેટમાં આજે અફડાતફડી રહી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે અમુક દુકાનો ખોલવામાં આવી હતી. માર્કેટ બંધ રાખાવવાને લઇને એક ગ્રુપે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. પોલીસ ઉપર પથ્થારમારો પણ કર્યો હતો જેમાં એક પોલીસઅધિકારીને ઇજા થઇ હોવાના અહેવાલ મળ્યા છે. દેશભરના ટેક્સટાઇલ વેપારીઓમાં કાપડ પર પાંચ ટકાના જીએસટી સ્લેબને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આની આગેવાનીમાં સુરત જીએસટી સંઘર્ષ સમિતિએ હડતાળનું એલાન કર્યું હતું. અગાઉ કમિટિ દ્વારા ૩૦મી જૂને બેઠક યોજવાની તૈયારી કરી હતી. સંઘર્ષ સમિતિ સરકારી દબાણમાં હોય તેમ પણ દેખાઈ રહ્યું છે. ઘણા વેપારીઓ વિરોધમાં છે જ્યારે ઘણા વેપારીઓ દુકાનો ખોલવાની માંગ કરી રહ્યા છે.
આગળની પોસ્ટ