આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ બે મહિના પહેલાં નવી દિલ્હીમાં ભાજપના કેટલાક નેતાઓને મળ્યા ત્યારથી બિહારનું મહાગઠબંધન જોખમમાં પડ્યું છે. એ વખતથી જેડીયુના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે રાજ્ય સરકારમાં આરજેડી સાથેનું ગઠબંધન તોડવાની વિચારણા શરૂ કરી છે. બિહારની ગતિવિધિઓથી જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવને જેલમાં જવાનો વાંધો નહોતો, પરંતુ બિહાર વિધાનસભાની છેલ્લી ચૂંટણીથી રાજકીય કારકર્દિી શરૂ કરનારા બે દીકરા સામે ભ્રષ્ટાચારના આરોપની ચાર્જશીટ મુકાય એ બાબતથી લાલુ પ્રસાદને ચિંતા થઈ હતી. નવી દિલ્હીમાં લાલુ પ્રસાદની મુલાકાતો બાબતે જાણકાર સૂત્રોએ માહિતી આપી હતી કે લાલુ પ્રસાદ યાદવ અને આરજેડીના સંસદસભ્ય પ્રેમચંદ ગુપ્તા દિલ્હીમાં મોદી સરકારના કેટલાક નેતાઓને મળ્યા ત્યારથી ગઠબંધનમાં ગરબડ શરૂ થઈ હતી. મોટા ભાગે પ્રેમચંદ ગુપ્તા ભાજપના નેતાઓને મળ્યા હતા, પરંતુ કેટલાક નેતાઓને મળવા માટે લાલુ પ્રસાદ તેમની સાથે ગયા હતા.
લાલુ પ્રસાદની ફૅમિલી સામે જુદા-જુદા આરોપસર શરૂ કરવામાં આવેલી તપાસો સમેટી લેવા માટે સોદાબાજી કરવાના ઇરાદે એ મુલાકાતો કરવામાં આવી હતી.
બિહારની રાજ્ય સરકાર ડામાડોળ થાય એની પરવા કર્યા વગર ભ્રષ્ટાચારના આરોપોમાંથી બચવાની પેંતરાબાજી ચાલતી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ