રશિયામાં એક એવો કાયદાકીય સુધારો કરવામાં આવી રહ્યો છે કે જે અંતર્ગત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તા પરથી હટ્યા બાદ પણ તેમની સામે ગુનાહિત કેસ ચલાવી શકાશે નહીં. એક મીડિયાના અહેવાલ પ્રમાણે રશિયાના બન્ને ગૃહમાંથી આ વિધેયક પસાર થઈ ગયા બાદ પુતિન પોતે જ આ વિધેયક પર હસ્તાક્ષર કરી તેને કાયદાકીય સ્વરૂપ આપશે. રશિયાના સંસદના નીચલા ગૃહ ડુમાએ નવા બચાવ વિધેયકનું સમર્થન કર્યું છે. વર્તમાન સમયમાં રશિયાના ફક્ત એક જ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવ જીવિત છે, જેમને પુતિન સાથે આ નવા કાયદાનો લાભ મળશે. દમિત્રી મેદવેદેવ પુતિનના સહયોગી છે. નવા વિધેયક અંતર્ગત રશિયાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ સાથે તેમના પરિવારના લોકો પણ પોલીસ તપાસ તથા પૂછપરછના ઘેરાવાથી બહાર હશે. આ સાથે આ લોકોની સંપત્તિ પણ જપ્ત કરી શકાશે નહીં. પુતિનની ઉંમર ૬૮ વર્ષ છે અને તેમનો કાર્યકાળ વર્ષ ૨૦૨૪માં પૂરો થશે. જોકે, બંધારણીય સુધારા બાદ તેઓ છ વર્ષના વધુ બે કાર્યકાળ પૂરા કરી શકશે. પુતિન વર્ષ ૨૦૦૦થી રશિયાની સત્તામાં છે. અલબત, નવા બચાવ વિધેયકમાં અસાધારણ પરિસ્થિતિમાં કરવામાં આવેલ ગંભીર અપરાધ અને રાજદ્રોહના કિસ્સા અપવાદની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એટલે કે આ પરિસ્થિતિમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ સામે કાર્યવાહી થઈ શકે છે.
આગળની પોસ્ટ