કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનું અમલીકરણ શરુ કરવામાં આવે તે પહેલા વેપારીઓ પોતાની દુકાનો અને ગોડાઉનોમાં ભરી રાખેલા માલના જૂની તારીખોના ખરીદ-વેચાણના બિલ બનાવી તેના ટેક્સનો ગેરલાભ ઊઠાવે તેવી શક્યતા રહેલી છે. જેના સંદર્ભે જે તે વેપારીની દુકાન કે ગોડાઉનમાં કેટલો માલ પડ્યો છે. તેની નોંધણી કરવા માટે કોમર્શિય ટેક્સ વિભાગની ટીમ દ્વારા રેન્ડમ ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વેટના અધિકારીઓ દ્વારા વેપારી પાસે પડેલા માલના સ્ટોકની એન્ટ્રી કરવામાં આવી રહી છે. જેના લીધે જીએસટીના અમલીકરણ પછી વેપારીઓ આ માલને જૂની તારીખોના બિલમાં વેચી શકે નહિ.બીજી બાજુ વેટના અધિકારીઓ હાલમાં પણ જીએસટીના કાયદા અંગે સમજણ મેળવી રહ્યા છે. સાથોસાથ વેપારીઓને જીએસટીમાં રૂપાંતરિત કરવાની કામગીરી પણ કરી રહ્યા છે. જેના કારણે આ રેન્ડમ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવતા વેટ વિભાગમાં અધિકારીઓ ઉપરનો કાર્યબોજ પણ વધી ગયો છે.
હાલના સંજોગોમાં જીએસટી કરનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી જુદા જુદા વેપારી સંગઠનો દ્વારા કરાતી રજૂઆતોને પગલે રોજે રોજ નિત-નવા ફેરફારો થઇ રહ્યા છે. આ જીએસટીના કર માળખામાં જે ફેરફારો થઇ રહ્યા છે, તેનો ગેરલાભ લેવા માટે વેપારીઓ તૈયાર છે. આ કારણસર વેપારીઓએ પોતાની દુકાનો કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં માલનો સ્ટોક કરી દીધો છે.
હવે જીએસટીના દરમાં ફેરફાર થતાં આ વેપારીઓ પોતે સંગ્રહ કરેલો માલ જૂની તારીખના બિલમાં વેચીને ટેક્સ ક્રેડિટ માટે ક્લેઇમ કરીને તેનો ગેરલાભ લઇ શકે છે. વેપારીઓની આ વૃત્તિને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જાય તેમ છે. માટે વેપારીઓ દ્વારા આવા કોઇ જ ગોટાળા ન થાય તેના માટે વેટ વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓ પાસેના માલના સ્ટોકની તપાસ કરીને નોંધણી કરવામાં આવી રહી છે.