રૂપિયા ૫૨ હજાર કરોડના ખોટના ખાડામાં ચાલી રહેલી ‘મહારાજા’ એર ઈન્ડિયાને ખરીદવામાં લો બજેટ એરલાઈન્સ ઈન્ડિગોએ રસ દાખવ્યો છે. બીજી તરફ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને ખરીદવામાં મારી હિંમત નથી. ઈન્ટર ગ્લોબલ એવિશએશનના માલિકી હક ધરાવતી ઈન્ડિગો એરલાઈન્સને જાહેર ક્ષેત્રની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયામાં હિસ્સો ખરીદવામાં રસ હોવાનું જણાવી એવિએશન મંત્રાલયને લેટર લખવામાં આવ્યો છે. એવિએશન સચિવ આરએન ચૌબેએ જણાવ્યું કે ખાનગી ક્ષેત્રની કંપનીએ આ પત્ર મંત્રાલય વતી કોઈ પણ જાતના અનુરોધ વગર ખુદ લખ્યો છે.એવિએશન મંત્રાલય દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, ઈન્ડિગો સિવાય કોઈ પણ એરલાઈન્સે આવી ઈચ્છા વ્યક્ત કરી નથી. તેમ છતાં કોઈ પણ એરલાઈન આ માટે આગળ આવી શકે છે.જોખમી સોદાઓ કરવા માટે જાણીતા મહિન્દ્રા ગ્રુપના હેડ આનંદ મહિન્દ્રાએ આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું મારી જાતને સામાન્ય હિંમતવાન વ્યક્તિ તરીકે જોઉં છું. પણ હું કબુલ કરું છું કે મારી પાસે તે ખરીદી શકાય તેટલી હિંમત નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટાટા ગ્રુપ એરલાઇનને રિવાઇવ કરવા તેમાં હિસ્સેદારી ખરીદી શકે છે. જો ટાટા એર ઇન્ડિયામાં હિસ્સેદારી ખરીદશે તો તેમના માટે એક રીતે ઘરવાપસી હશે. હકીકતમાં આજે એર ઇન્ડિયા તરીકે ઓળખાતી આ એરલાઇનનો જન્મ ટાટા એરલાઇન્સ સાથે જ થયો છે. ૧૯૩૨માં સ્થાપિત કરવામાં આવેલી ટાટા એરલાઇનને પબ્લિક કંપની બનાવી દેવામાં આવી હતી અને તેનું નામકરણ એર ઇન્ડિયા કરવામાં આવ્યું હતું. બાદમાં તેનું રાષ્ટ્રીયકરણ થયું. અગાઉ પણ ટાટા ગ્રુપે એર ઇન્ડિયાનું અધિગ્રહણ કરવાની કોશિશ કરી હતી.હાલના સમયમાં એર ઇન્ડિયા પર ૫૨ હજાર કરોડનું દેવું છે. બુધવારે કેબિનેટની બેઠકમાં એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે હાલ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થશે અને કેટલો હિસ્સો વેચાશે તે અંગે નિર્ણય કરવા મંત્રીઓની એક સમિતિ રચાશે.
પાછલી પોસ્ટ