જીએસટી બિલથી રાજ્યભરના વેપારીઓને થનારી મુશ્કેલીઓમાંથી મુક્ત કરાવવાની જવાબદારી કોંગ્રેસને ઉઠાવવા વેપારીઓએ માગ કરી છે.
કોંગ્રેસ પ્રેરિત સભામાં અમદાવાદ, સુરત સહિતના રાજ્યભરમાંથી આવેલાં વેપારીઓ, વેપારી સંગઠનો-એસોસિયેશને જીએસટીની જોગવાઈઓથી લઘુ-મધ્યમ ઉદ્યોગોનો મૃત્યુઘંટ વાગી જશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી.
અમદાવાદના સરદાર સ્મારક ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસે જીએસટીનો વન નેશન વન ટેક્સનો સિદ્ધાંત અપનાવ્યો હતો પરંતુ વર્તમાન મોદી સરકારે વન નેશન-મલ્ટિપલ ટેક્સિસનો સિદ્ધાંત અપનાવ્યો હોવાનું જણાવતાં ગુજરાત કોંગ્રેસ સીએ સેલના ચેરમેન કૈલાસ ગઢવીએ જણાવ્યું કે, કોંગ્રેસે જીએસટી રેટની મર્યાદા ૧૮ ટકા રાખી હતી, જ્યારે વર્તમાન સરકારે ૨૮ ટકાની ટોચ રાખી છે.
જીએસટીના અમલ માટે વધુ સમય આપવાની માંગણી કરતા વેપારીઓએ જીએસટીના અમલને નોટબંધી સાથે સરખાવતાં તેમણે કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પૂર્વઆયોજન વિના જીએસટી લાગુ થવાથી વેપારીઓની કનડગતમાં વધારો થશે. વર્તમાન કાયદામાં થ્રેશોલ્ડ મર્યાદા ૨૦ લાખથી વધારીને ૫૦ લાખ કરવા, ફોર્મને પારદર્શી બનાવવા, ત્રિમાસિક રિટર્નની જોગવાઈ કરવા, વર્ષમાં ભરવાનાં થતાં ૩૭ ફોર્મની સંખ્યા ઘટાડવી, ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધા આપવા વગેરેની માંગણી કરવામાં આવી હતી.દંડની જોગવાઈઓમાં માનવીય ભૂલ માટેની કડક જોગવાઈમાં પ્રથમ છ મહિના માટે વિલંબથી દાખલ કરાયેલાં અથવા ખોટું ફાઇલિંગ અથવા કરદાતા દ્વારા થયેલી ભૂલો માટે કોઈ પણ પ્રકારનો દંડ ન લેવાની માંગણી કરાઈ હતી.ઓનલાઇન રિટર્ન ફાઇલિંગની સિસ્ટમ સામે મેન્યુઅલ રિટર્ન ફાઇલિંગ માટે સબમિશનની જોગવાઈ કરવાની માગ કરાઈ હતી. આ સભામાં અમદાવાદના રિલીફ રોડ, ગાંધીરોડનાં વિવિધ વેપારી સંગઠનો, ઘંટાકર્ણ મહાવીર માર્કેટ એસોસિયેશન, ટ્રાન્સપોર્ટ અને સ્ટીલના વેપાર સાથે સંકળાયેલાં એસો સહિત ૨૨ એસોસિયેશનો હાજર રહ્યાં હતાં.