ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે યોગ્ય ઉમેદવાર નક્કી કરવા માટેના મામલે હવે ક્રિકેટિંગ લિજેન્ડ સચિન તેંડુલકરે ઝુકાવ્યું છે. કારણ કે રવિ શાસ્ત્રીએ ઘસીને ના પાડી હોવાથી સચિને આ મામલો હાથમાં લેવાની ફરજ પડી છે.
કેપ્ટન વિરાટ કોહલી સાથેના લાંબા ઘર્ષણ બાદ કોચ પદેથી અનિલ કુંબલેએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી આ પોસ્ટ માટે રવિ શાસ્ત્રી એપ્લાય કરશે તેવા અહેવાલો આવ્યા હતા, પરંતુ લંડનમાં રજાઓ ગાળી રહેલા રવિ શાસ્ત્રીએ રોકડું પરખાવતાં કહ્યું હતું કે ભૂતકાળમાં મારો રેકોર્ડ સારો હોવા છતાં મને અવગણવામાં આવ્યો હતો. માટે આ પદ પર નિયુક્તની લાઇનમાં હું ઊભો નહીં રહું.
ખાનગી રાહે એવું જાણવા મળ્યું છે કે રવિ શાસ્ત્રીને મનાવવા માટે સચિન તેંડુલકરે બીડું ઝડપ્યું છે અને તેની સાથે લંડન વાત પણ કરી છે.
ક્રિકેટ બોર્ડની એડ્વાઇઝરી કમિટીના ત્રણ સભ્યોમાંના એક સભ્ય તરીકે સચિને એટલા માટે આ જવાબદારી ઉપાડી છે કારણ કે વિરાટ કોહલી પણ કોચ તરીકે શાસ્ત્રીને જોવા ઇચ્છે છે. એ ઉપરાંત કુંબલેની વિદાય અને નવા કોચના આગમન વચ્ચે ક્રિકેટ બોર્ડે સહન કરવી પડી રહેલી ટીકાઓમાંથી પણ બોર્ડનો છુટકારો થાય તેવું સચિન ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે કુંબલેના આગમન પહેલા શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકેની સફળ જવાબદારી નિભાવી હતી. જ્યારે કુંબલેની કોચ તરીકે છેલ્લી ઘડીએ એન્ટ્રી થઈ હતી.
તે વખતે પણ તેંડુલકરે શાસ્ત્રીની જ તરફેણ કરી હતી. કારણ કે ટીમ શાસ્ત્રી સાથે સારી એવી અનુકૂળતા સાધી ચૂકી હતી. તે સમયે સૌરવ ગાંગુલીએ કુંબલેની તરફેણ કરી હતી.
તે સમયે ત્રીજા સભ્ય તરીકે લક્ષ્મણે નક્કી કરવાનું હતું કે કોચ કોણ બનશે. જોકે લક્ષ્મણે ગાંગુલીનો સાથ આપ્યો હતો. જો આ વખતે પણ ગાંગુલી શાસ્ત્રીનો વિરોધ કરશે તો લક્ષ્મણનો મત નિર્ણાયક સાબિત થાય તેમ છે.