શહેરના વટવા વિસ્તારમાં વિસ્તારમાં બુરહાની સોસાયટી પાસે યુએલસીની ફાજલ જમીનો પર વર્ષોથી રહેતા ૨૦૦થી વધુ સ્થાનિક રહેવાસીઓને જમીનનો કબ્જો ખાલી કરાવવા સરકારના સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીને પડકારતી રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે આ રિટ દાખલ કરી હતી અને વધુમાં, અરજદાર સ્થાનિક રહીશોની જમીનોનો કબ્જો મેળવવા સામે સરકારના સત્તાવાળાઓને મનાઇહુકમ ફરમાવી દીધો છે. વધુમાં, યુએલસીની ફાજલ જમીનોના રહેણાંક મકાનોને નક્કી કરેલી જંત્રી મુજબ, પ્રીમીયમ વસૂલી રેગ્યુલરાઇઝ કરવા અંગેના સરકારના ઓર્ડિનન્સ સંદર્ભે અરજદાર સ્થાનિક રહીશોની અરજી સ્વીકારવા પણ સરકારના સત્તાવાળાઓને નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે આ મામલે કાયદાનુસાર નિર્ણય લેવા સત્તાવાળાઓને તાકીદ કરી છે. જો કે, કોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે, કોઇપણ નિર્ણય હાઇકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે. શહેરના વટવા વિસ્તારના સ્થાનિક રહીશો તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ મેહુલ શરદભાઇ શાહ દ્વારા એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારો વર્ષોથી ઉપરોકત સ્થળે રહે છે. આ જમીનો યુએલસી હેઠળ ફાજલ થયેલી જમીનો છે. સને ૧૯૯૯માં અરબન લેન્ડ સીલીંગ એકટ(યુએલસી કાયદો) નાબૂદ થયો, એ વખતે અરજદારોએ ઓન પેપર જમીનનો કબ્જો લઇ લીધો હતો પરંતુ એક્ચુઅલ પઝેશન લીધુ ન હતું અને હવે આટલા વર્ષો પછી સરકારે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ હેઠળ તેઓને નોટિસ આપી અરજદારો ગેરકાયેદ જમીન પર વસવાટ કરે છે અને તેઓનો કબ્જો ગેરકાયદે છે, તેમ કહી જમીનનો કબ્જો લઇ રહી છે. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, હરિરામના કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદામાં ઠરાવ્યું છે કે, આ કાયદો નાબૂદ થયો તે પહેલાં સરકારે ડિફેકટો પઝેશન લેવું પડશે. કાગળ પર પંચનામું કરીને કબ્જો લીધો હોય તે ચાલશે નહી, વાસ્તવિક ફિઝીકલ કબ્જો લીધેલો હોવો જોઇએ. અન્યથા જો ફીઝીકલી વાસ્તવિક કબ્જો લીધો ના હોય તો પછી યુએલસી એકટ રિપીલ(નાબૂદ) થયા બાદ તે હેઠળ સરકાર જમીનમાલિકો પાસેથી કબ્જો લઇ શકે નહી. અરજદારપક્ષે આ ચુકાદાનો આધાર ટાંકી સરકારના સત્તાવાળાઓને પણ તેમની જમીનનો કબ્જો લેતા અટકાવવા દાદ માંગી હતી, જે હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.