ગરીબો માટે મોદી સરકારની મહત્વકાંક્ષી આરોગ્ય સુરક્ષા યોજના આયુષ્યમાન ભારત માટે પહેલા વર્ષમાં ૨૦૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે. વડાપ્રધાન મોદીની આ મહત્વકાંક્ષી યોજના રહેલી છે. આવનાર વર્ષોમાં કવરેજ વધવાની સ્થિતિમાં આના માટે ૫૦૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે. એક મોટી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીએ કહ્યું છે કે, અનુભવના આધાર પર યોજનાની મેચ્યોરિટી લેવલની સાથે પ્રાઇઝિંગમાં ફેરફાર થશે. તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં પ્રતિ પરિવાર આ સ્કીમ માટે પ્રિમિયમ ૨૦૦૦ રૂપિયા વાર્ષિક રહી શકે છે જે લાંબી અવધિમાં વધીને ૫૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમનું કહેવું છે કે, સરકાર આમા વર્તમાન બિમારીઓને પણ કવર કરવા ઇચ્છુક છે જેથી પ્રિમિયમ વધારે હોઈ શકે છે. જ્યારે પોલિસી ધારકને કોઇ બિમારી હોતી નથી ત્યારે ઇન્સ્યોરન્સ કંપની ઓછા પ્રિમિયમ લેતી હોય છે. કેબિનેટે બુધવારના દિવસે આયુષ્યમાન ભારતને મંજુરી આપી હતી. સરકારે આ સ્કીમ હેઠળ ૧૦ કરોડ ગરીબ પરિવારોને આરોગ્ય સુરક્ષા આપવાની યોજના બનાવી છે. જો આને લાગૂ કરવામાં આવશે તો દુનિયામાં આ પ્રકારની સૌથી મોટી સ્કીમ બની જશે. કેન્દ્ર સરકાર આના માટે ૬૦ ટકા અને રાજ્ય સરકાર ૪૦ ટકા પ્રિમિયમ ચુકવશે. ટેન્ડર મારફતે પ્રાઇઝ ડિકસ્કવરી કરવાની સ્થિતિમાં રાજ્યો માટે પ્રિમિયમ વધારે રહી શકે છે. ૧૦ વર્ષ જુની રાષ્ટ્રીય આરોગ્ય વિમા યોજના હેઠળ ગરીબી રેખાનીચે ત્રણ કરોડ પરિવારોને આનો ફાયદો મળી રહ્યો છે. રાજ્યોનો અનુભવ આ સ્કીમને લઇને અલગ અલગ રહ્યો છે.
આગળની પોસ્ટ