રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં તા.૨૭/૦૬/૨૦૧૭ થી તા. ૦૧/૦૭/૨૦૧૭ સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કલેકટર કચેરી વલસાડના સંયુકત ઉપક્રમે વલસાડ જિલ્લા કલેકટર શ્રી સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં પોલીસ હેડ કવાટર્સ મોગરાવાડી પ્રાથમિક શાળા ખાતેથી શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે કલેકટરશ્રી સી.આર. ખરસાણે શાળા સલામતી સપ્તાહની ઉજવણીનુ઼ મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, કોઇ પણ કુદરતી આપત્તિ જેવી કે ભૂંકપ, આગ, પુર જેવી પરિસ્થિતિમાં સાવચેતીના પગલાં કેવી રીતે લેવા કે જેથી નુકશાનીમાંથી બચી શકાય તે માટે બાળકોને શાળા કક્ષાએજ નિદર્શન સાથે જાણકારી આપવામાં આવે તો જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય કે બચી શકાય છે. શાળા સલામતી સપ્તાહ ઉજવવાનો મુખ્ય ઉદ્ેશ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સામે જાગૃતિ કેળવવાનો છે. આ જ્ઞાન જીવનભર ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ અવસરે શાળાના બાળકો દ્વારા પૂર, વાવાઝોડા,આગ, ભૂંકપ અને માર્ગ અકસ્માત જેવી આપત્તિ સમયે સાવચેતીના પગલાં, બચવાના ઉપાયો અંગેના વકવ્યો રજુ કર્યા હતા. વલસાડ નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ સોનલબેન સોલંકી અને પોલીસ હેડ કવાટર્સના પોલીસ ઇન્સ્પેકટરશ્રી અલ્પેશભાઇએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કર્યા હતા. શાળા સલામતી સપ્તાહની ઉજવણીમાં ૧૦૮, ફાયર બ્રિગેડ દ્વારા નિદર્શન કરી બાળકોને જાગૃત કરાયા હતા. આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યશ્રીઓ મામલતદારશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રી સી.આર.સીશ્રી સહિત શાળાના શિક્ષકો બાળકો હાજર રહ્યા હતા.