કોરોનાના આ કહેરમાં લોકોનું જીવન આમ પણ અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આમ આદમીનું દરેક બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ લોકડાઉનના કારણે નોકરી જઈ રહી છે તો બીજી તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે. દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં પહેલાં શાકભાજી ૨૦થી ૩૦ રૂપિયે કિલોગ્રામ મળતી હતી, હવે એ જ શાકભાજીનો ભાવ ૧૦૦ રૂપિયાથી પણ વધી ગયો છે.બ્રોકલી જેવી શાકભાજી તો ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી પણ વધારે રૂપિયામાં વેચાય રહી છે. ધંધાદારીઓનું એવું માનવું છે કે વધારે વરસાદના કારણે તેની આવક ઘટી ગઈ છે. સાથે જ ટમેટા જેની જલ્દી ખરાબ થનારી શાકભાજીને પણ વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૦ સપ્ટેમ્બર પછી શાકભાજીના ભાવમાં ઘટાડો આવશે.
દિલ્હીના બજારોમાં ટમેટા ૬૦થી ૮૦ રૂપિયે કિલો અને બટેટા ૪૦ રૂપિયે કિલો વેચાય રહ્યા છે. એ જ રીતે મરચા, રીંગણા, ભીંડા વગેરેના ભાવ પણ આસમાને છે. આ ભાવ વધારાના કારણે લોકો ભારે પરેશાન છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે આ સારા સમાચાર સાંભળીને લોકોમાં ઉત્સાહ છે.એશિયાની સૌથી મોટી બજાર આજાદપુર શાકભાજી મંડીના અધ્યક્ષ અને ટ્રેડર રાજેન્દ્ર શર્માએ કહ્યું હતું કે, જો ખેડૂતોની નજરથી જોઈએ તો અત્યારે સ્થિતિ ઘણી સારી છે. દેશમાં અનલોકમાં જેમ જેમ છૂટ મળી રહી છે તેમ તેમ શાકભાજી આવવાની શરૂઆત થઈ રહી છે. વરસાદમાં અવાર નવાર શાકભાજીનું આગમન બંધ થઈ જાય છે અને જેના કારણે ભાવમાં વધારો જોવા મળે છે. પરંતુ સપ્ટેમ્બરમાં સ્થિતિ સારી થવા જઈ રહી છે અને ૧૦ તારીખ પછી ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે.