ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ૩૦મી જૂનના રોજ કાપડ ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ટેક્સટાઇલ ઇન્ડિયા ૨૦૧૭ યોજાઈ રહી છે, જેનું બપોરે ૨-૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. પ્રદિપસિંહ જાડેજાએ વડાપ્રધાનની આગામી ગુજરાતની મુલાકાત સંદર્ભમાં આજરોજ મહાત્મા મંદિરની મુલાકાત લઇ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ટેક્સટાઇલ જગતનું સૌથી મોટુ પ્રદર્શન ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે જેમાં ૧૩૦ દેશના ૨ હજારથી વધુ પ્રતિનિધિ અને દેશના વિવિધ રાજ્યોના મળીને કુલ ૫૦૦૦ જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે. કાલ, આજ અને આવતીકાલની થીમ ઉપર યોજનાર વિશ્વનું ટેક્સટાઇલ ક્ષેત્રેનું ઐતિહાસિક પ્રદર્શન સેક્ટર ૧૭ના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ પ્રદર્શન ગ્લોબલ માર્કેટમાં દેશની ઇકોનોમી વધુ મજબૂત બનશે. આ પ્રસંગે ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની ગુજરાતની બે દિનની મુલાકાત વેળા મોડાસા, અમદાવાદ અને રાજકોટના કાર્યક્રમોની સુરક્ષા વય્વસ્થા અંગે રાજ્યના પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી આયોજન અંગે સમીક્ષા બેઠક કરી હતી.
આગળની પોસ્ટ