પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ હાલ ચોમાસાની ઋતુમાં લીલીછમ વનરાજીથી ખીલી ઉટ્યું છે. આ પાવાગઢ પર્વતની તળેટીમાં ખુણિયા મહાદેવનો ધોધ આવેલો છે જેમાં નાહવાનો આનંદ લેવા પર્યટકો આવે છે. પાતાળ તળાવ પાસેથી તળેટી તરફ ગાઢ જંગલોની વચ્ચે ખુણિયા મહાદેવનું મંદિર આવેલું છે. અહી નજીકમાં જ ધોધ આવેલો છે. આ જ જગ્યાને વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે. અહીં વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું હોવાનું પણ માનવામાં આવે છે. ખૂણિયા મહાદેવ ધોધ ખાતે નાહવાનો આનંદ માણીને પરત ફરતા ૭૦ જેટલા સહેલાણીઓ રસ્તામાં આવતા ઝરણાનું પાણી એકાએક વરસાદને કારણે વધી ગયું હતું જેના કારણે ધોધ ખાતે નાહીને પરત ફરતા ૭૦ જેટલા સહેલાણીઓ ફસાઈ જતા તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ બનાવની જાણ પાવાગઢ પોલીસ મથકના પીઆઈ પી.એન.સિહ સહિતના સ્ટાફને થતાં તેઓ તુરંત જ બનાવ સ્થળે પહોંચી ગયા હતાં અને સહેલાણીઓને દોરડાની મદદથી બચાવી લીધાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની રેસક્યુ ટીમ તેમજ અન્ય અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છેકે પાવાગઢની તળેટીમાં આવેલો ખૂણીયા મહાદેવનો ધોધ જાણીતો છે. બે કિમીની જંગલની મુસાફરી કરી, મોટા પથ્થરોમાંથી પસાર થતા ઝરણાનો આનંદ લેવા પર્યટકો ચોમાસાની સિઝનમાં આવે છે. બે વર્ષ પહેલાં પણ આજ રીતે ખુણિયા મહાદેવના ધોધ ખાતે નાહવા આવેલા પર્યટકો ફસાઈ જતા તેમનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. ઘોંઘબા તાલુકામાં હાથણી માતાનો ધોધ પર જવાનો પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર આ બનાવ પછી ખુણિયા મહાદેવ ધોધ પર સહેલાણીઓને જવાનો પ્રતિબંધ મૂકે છે કે નહીં તે જોવું રહ્યું.
(વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)