છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર પંથકમાં ૭૦ વર્ષની વૃદ્ધા અને ૫ વર્ષના બાળકનું દીપડાના હુમલામાં મોત થયા બાદ વન વિભાગે એક સાથે ૩ દીપડા પાંજરે પૂર્યા છે. જેને પગલે વન વિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ગામમાં ગુરૂવારે રાત્રે એક વાગ્યે માનવભક્ષી દીપડાએ ઘરના આંગણે સુઇ રહેલી ૭૦ વર્ષની વૃદ્ધ મહિલા બુધલીબેન રાઠવા પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ મહિલાને ખેંચીને ઝાડીઓમાં લઇ ગયો હતો. આ હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઇ છે અને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ૧૫ દિવસ પહેલા જ પાવી જેતપુર તાલુકાના ઉમરવા ગામમાં સાંજના સમયે ઘર પાસે રમી રહેલા ૫ વર્ષના બાળક વંશ અશોકભાઇ રાઠવા પર દીપડાએ હુમલો કર્યો હતો અને ગળાના ભાગેથી પકડી લઇને ભાગતો હતો. જેમાં બાળકનું મોત થયું હતું.
અને બાળકને બચાવવા જતા તેના પિતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ બે ઘટનાઓ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને માનવભક્ષી બનેલા દીપડાને પકડવા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શુક્રવારે રાત્રે એક અને આજે વહેલી સવારે બે દીપડા પાંજરે પુરાયા હતા. ઘુટણવડ ગામમાં જે ઝાડીમાંથી ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાની લાશ મળી હતી, ત્યાંથી બે દીપડા અને ૫૦૦ મીટર દૂરથી ત્રીજો દીપડો પકડાયો હતો. જેને પગલે વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
પાછલી પોસ્ટ