કોરોનાના કહેર વચ્ચે અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટ લાંબા સમયથી બંધ છે. ત્યારે અમદાવાદના માટે બહુ જ મહત્વના કહી શકાય તેવા જમાલપુર એપીએમસીના બંધ હોવાથી વેપારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડી રહ્યો છે, પણ તેની મોટી અસર અમદાવાદીઓ પર થઈ છે. જમાલપુર એપીએમસી માર્કેટ બંધ હોવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં આવતા શાકના વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે. જેથી કરીને લોકોનું બજેટ પણ ખોરવાયું છે.
કિલોગ્રામ દીઠ દરેક શાકભાજીના ભાવમાં ભડકો થયેલો જોવા મળ્યો છે, જેથી ગૃહિણીઓને ઘરનું બજેટ ગોઠવવું મુશ્કેલ બની રહ્યું છે. તો બીજી તરફ, શાકભાજીની સરખામણીમાં બટાકા, ટામેટા અને લીબુના ભાવ સામાન્ય થયા છે. દરેક શાકભાજીના ભાવ ૮૦ રૂપિયા કિલોની આસપાર પહોચ્યા છે, ત્યારે બટાકા, ટામેટા અને લીંબુના ભાવ ઓછા છે. પરંતુ સરખામણી કરીએ તો લીંબુ અને બટાકા શાક માર્કેટમાં લગભગ સરખા ભાવે જ વેચાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જમાલપુર શાકમાર્કેટ હજી પણ બંધ છે.
તેને ખોલવા અંગે હજી કોઈ જાહેરાત કરાઈ નથી. ત્યારે કોરોનાના કહેર વચ્ચે એક મહિના માટે માર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર થયું હતું. ૩૧ જુલાઇના રોજ જેતલપુર માર્કેટ બંધ થયું હતું, જોકે, તેના બાદ પણ જમાલપુર શાક માર્કેટ શરૂ ન કરતા, ખેડૂતોને મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. શાકભાજી ક્યા વેચવા જવું એ મોટો સવાલ હતો. તાજેતરમાં જ કેટલાક ખેડૂતો આજે શાકભાજી લઇ જમાલપુર માર્કેટ પહોંચ્યા હતા. જમાલપુર માર્કેટમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જોકે, હવે માર્કેટ બંધની અસર સીધી ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.
આગળની પોસ્ટ