બિહારમાં કોરોના વાઇરસના બહાને અને વિનાશકારી પૂરના બહાને વિધાનસભાની ચૂંટણી લંબાઇ જશે એવી તમામ અટકળોનો છેડ ઊડાડતાં ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નિર્ધારિત સમયે બિહાર વિધાનસભાની ચૂંટણી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે લોકોને અટકળો કરવાની છૂટ છે પરંતુ મને કહેવા દો કે બિહાર વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયે થશે. કોરોનાના પ્રસારને ધ્યાનમાં રાખીને પોલિંગ પેનલ ચૂંટણીની તૈયારી કરી રહ્યું હતું. કોરોનાનેા ચેપ રોકવા માટે જરૂરી પગલાં લેવાની સૂચના લાગતા-વળગતા સૌને આપી દેવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન પણ કોરોનાનો ચેપ રોકવા જે જરૂરી પગલાં લેવાં પડે એ લેવાની પણ પંચની તૈયારી હતી. સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક વગેરે પગલાં કડક હાથે લેવાશે. બિહાર વિધાનસભાની ચૂંટણી સમયસર કરવા માટે ચૂંટણી પંચ, રાજ્ય સરકાર અને તમામ જિલ્લા વહીવટી તંત્ર કમર કસીને કામ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે લાલુ યાદવના રાજદ અને રામ વિલાસ પાસવાનના લોક જનશક્તિ પાર્ટીએ ચૂંટણી પંચને એવી વિનંતી કરી હતી કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખવી.
લોક જનશક્તિ પક્ષે તો પંચને આ બાબતે પત્ર લખીને વિનંતી કરી હતી. એમણે એવી દલીલ કરી હતી કે અત્યારે ચૂંટણી કરવાથી લાખો લોકોનો જાન જોખમમાં આવી જઇ શકે છે એટલે અત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવી વાજબી નથી. કોંગ્રેસના નેતા અખિલેશ પ્રસાદ સિંઘે પણ રવિવારે કહ્યું હતું કે અત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે અનુકૂળ સમય નથી. પરંતુ આ બધી દલીલો ચૂંટણી પંચે સ્વીકારી નહોતી. ચૂંટણી પંચે અગાઉ તમામ રાજકીય પક્ષો પાસે ચૂંટણીના મુદ્દે સૂચનો મંગાવ્યા હતા અને ૩૧મી જુલાઇ સુધીમાં સૂચનો મોકલી આપવાનું કહ્યું હતું. પાછળથી આ મુદત ૧૧ ઑગષ્ટ સુધી લંબાવી હતી. પરંતુ સોમવારે તેમણે કહ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમયે થશે.
પાછલી પોસ્ટ