ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને જોરદાર ઝટકો આપ્યો છે. ઓફિસ ઓફ પ્રોફિટ મામલે ચૂંટણી પંચે જારી કરેલા વચગાળાના આદેશમાં પંચે આમ આદમી પાર્ટીની ૨૧ વિધાયકોના સંસદીય સચિવ મામલા સંબંધિત કેસ ખતમ કરવાની અરજીને ફગાવી દીધી છે. ચૂંટણી પંચ લાભના પદ મામલે સુનાવણી કરી રહ્યું છે.
પંચે કહ્યું કે વિધાયકો પર કેસ ચાલતો રહેશે. દિલ્હી હાઈકોર્ટ આ અગાઉ વિધાયકોની વિવાદાસ્પદ પદ પર નિયુકિતને ગેરકાયદેસર ઠેરવી ચૂકી છે. આપ વિધાયકોએ અરજી કરી જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટમાં સંસદીય સચિવની નિયુકિત જ રદ થઈ ગઈ છે તો એવા સંજોગોમાં કેસ ચૂંટણી પંચમાં ચલાવાનો કોઈ અર્થ નથી. ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ દિલ્હી હાઈકોર્ટે ૨૧ સંસદીય સચિવોની નિયુકિત રદ કરી હતી.ચૂંટણી પંચ મુજબ આપ વિધાયકો પાસે સંસદીય સચિવનું પદ ૧૩ માર્ચ ૨૦૧૫થી ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી હતું. આ માટે ૨૦ વિધાયકો પર કેસ ચાલશે જયારે એકમાત્ર રાજૌરી ગાર્ડનના વિધાયક બાકાત રહેશે કારણ કે તેઓ જાન્યુઆરી ૨૦૧૭થી વિધાયક પદેથી રાજીનામું આપી ચૂકયા છે. હવે ચૂંટણી પંચમાં અંતિમ સુનાવણી શરૂ થશે. આપ વિધાયકોએ હવે સાબિત કરવાનું રહેશે કે તેઓ સંસદીય સચિવ તરીકે લાભના પદ પર નહતાં.દિલ્હી સરકારે માર્ચ ૨૦૧૫માં ૨૧ આપ વિધાયકોની સંસદીય સચિવના પદ પર નિયુકિત કરી હતી. જેને પ્રશાંત પટેલ નામના વકીલે લાભના પદ ગણાવીને રાષ્ટ્રપતિની પાસે ફરિયાદ કરીને ૨૧ વિધાયકોની સદસ્યતા ખતમ કરવાની માગણી કરી. રાષ્ટ્રપતિએ મામલો ચૂંટણી પંચને મોકલ્યો અને ચૂંટણી પંચે માર્ચ ૨૦૧૬માં ૨૧ વિધાયકોને નોટિસ પાઠવી. ત્યારબાદ આ મામલે સુનાવણી શરૂ થઈ. કેજરીવાલ સરકારે ખરડો તૈયાર કરીને સંસદીય સચિવ પદને લાભના પદની મર્યાદામાંથી બહાર કરવાની કોશિશ કરી પરંતુ રાષ્ટ્રપતિએ તે ખરડો પાછો મોકલી દીધો.ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં જારી ચૂંટણીપંચે એક વચગાળાના આદેશમાં આમ આદમી પાર્ટીની દલીલો ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટ પણ અગાઉ ધારાસભ્યોના વિવાદી પદ પર નિમણૂકને ગેરલાયક ઠરાવી ચૂકી છે.ચૂંટણીપંચે આમ આદમી પાર્ટીના ૨૭ ધારાસભ્ય વિરુદ્ઘ ઓફિસ ઓફ પ્રોફિટ હેઠળ ફરિયાદ કરી હતી. ચૂંટણીપંચમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીએ પોતાના વિસ્તારમાં અલગ અલગ સરકારી હોસ્પિટલમાં ૨૭ ધારાસભ્યને રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.