ભારત કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે આવતા અઠવાડિયાથી ખાસ ફ્લાઇટ્સ શરૂ કરશે. ગલ્ફ દેશોએ હાલ વેપાર અને પ્રવાસન માટે કતારનો બોયકોટ કરેલો છે. આ ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને ભારતના કોચિ, તિરુવનંતપુરમ અને મુંબઈથી દોહા, કતાર સુધીની કેટલીક પ્રાઇવેટ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવશે.સિવિલ એવિયેશન મિનિસ્ટર અશોક ગજપતિ રાજુએ ટ્વીટમાં જણાવ્યુંઃ આપણા નાગરિકોનું દોહાથી સમયસર સ્થળાંતર કરવા માટે જરૂરી તમામ પગલાંઓ લેવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. હું અને સુષમા સ્વરાજ આ મુદ્દે સતત સંપર્કમાં છીએ.મંત્રીએ જણાવ્યું કે ભારતીયો કોઇપણ રીતે ફસાયેલા નથી. પરંતુ, તેમાંના ઘણા લોકો નાકાબંધીને કારણે ડિમાન્ડ વધી જતાં, ફ્લાઇટ્સમાં બુકિંગ્સ મેળવી શક્યાં નથી. કતારમાં આશરે સાત લાખ ભારતીયો વસે છે.એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ્સ કેરળ અને દોહા વચ્ચે ઉડશે, જ્યારે દોહા અને મુંબઈ વચ્ચે જેટ એરવેઝની ફ્લાઇટ ઉડશે. આ ફ્લાઇટ્સ ૨૫ જૂનથી ૨૮ જૂનની વચ્ચે ઉડશે.
આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયા, યુએઇ, ઇજિપ્ત અને બહેરીન સહિત સાત દેશોએ કતારનો બોયકોટ કર્યો હતો અને કોઇપણ ફ્લાઇટ જે કતારથી ઉડતી હોય કે કતારમાં લેન્ડ થતી હોય તે માટે તેમની એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. થોડાક સમય પછી આ પ્રતિબંધને રિવાઇઝ કરવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ફક્ત કતારના ઓપરેટર્સ માટે હતો.કતાર પર વેપાર અને પ્રવાસનને લઇને આ સાત દેશોએ લાદેલા પ્રતિબંધ માટે ઘણા મતમતાંતરો જવાબદાર છે. આ આરોપોમાં કતાર કટ્ટરપંથીઓ અને ઉગ્રવાદીઓનું સમર્થન કરે છે તેવો પણ આરોપ હતો. નોકરી અને રોજગારી માટે વિદેશ જતા ભારતીયો માટે કતાર એ ખૂબ પોપ્યુલર સ્થળ છે અને વસ્તીનો મોટોભાગ હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાંથી આવે છે.ભારત સરકારે આ પહેલા સૌથી મોટું એરલિફ્ટ ઓપરેશન ૧૯૯૦માં ચલાવ્યું હતું. ઇરાક અને કુવૈતમાં યુદ્ધની પરિસ્થિતિ હતી. ત્યારે બંને દેશોમાંથી આશરે ૧ લાખ ૧૦ હજાર ભારતીયોને ભારત લાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનને ૫૦૦ ફ્લાઇટ્સ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન હતું.