ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં ચીની નૌસેના દ્વારા યુદ્ધાભ્યાસની તસવીરો સામે આવી છે. ગ્લોબલ ટાઈમ્સે પહેલી જુલાઈથી ચાલી રહેલા યુદ્ધાભ્યાસની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, ચીનના દક્ષિણી, ઉત્તરી અને પૂર્વીય થિએટર કમાન્ડ્સે દક્ષિણી ચીની સાગર, પીળા સાગર અને પૂર્વીય ચીન સાગરમાં પોતાનું નૌસૈનિક કૌશલ્ય દેખાડ્યું છે.
ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ યુદ્ધાભ્યાસમાં ૦૫૪ ફ્રિગેટ્સ અને ૦૫૨ ડી ગાઈડેડ મિસાઈલ્સ ડિસ્ટ્રોયર્સનો સુંદર ઉપયોગ કરાયો. ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનથી જે તસવીરો સામે આવી રહી છે તેને પોતાની શક્તિના દેખાડાનો ઉપક્રમ ગણવામાં આવે છે પરંતુ સંરક્ષણ નિષ્ણાતોના મતે આ ચીનની વિસ્તારવાદી વિચારસરણીનો નમૂનો છે. નિષ્ણાંતોના મતે ચીનની નજર માત્ર ગાલવાન ઉપર જ નહીં પરંતુ દક્ષિણ ચીની સાગરના દ્વીપો પર પણ છે.
હકીકતે દક્ષિણ ચીની સમુદ્રમાં આશરે ૨૫૦ જેટલા દ્વીપ છે અને ચીન તે તમામ દ્વીપ પર પોતાનો કબજો જમાવવા ઈચ્છે છે. વિશ્વનો એક તૃતિયાંશ એટલે આશરે ત્રણ ટ્રિલિયન ડોલરનો વેપાર આ દરિયાઈ માર્ગે જ થાય છે.ચીન ઈચ્છે છે કે તે આ દ્વીપો પર કબજો જમાવીને અહીંથી પસાર થતા દરેક જહાજ પર નજર રાખે અને તેમના પર જોહુકમી ચલાવે. સંરક્ષણ નિષ્ણાંત એસપી સિન્હાએ ચીનને કરડાકીપૂર્વક રોકવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે જો ચીનને અત્યારે રોકવામાં નહીં આવે તો સ્થિતિ સામાન્ય થતા જ તે આ તમામ દ્વીપો પર કબજો કરી લેશે.સંરક્ષણ નિષ્ણાંતોના મતે જમીન પર વિસ્તારવાદ અજમાવ્યા બાદ ચીન સમુદ્રમાં પણ આ વલણને આગળ વધારવા ઈચ્છે છે. ચીન પહેલેથી જ દક્ષિણ ચીની સમુદ્ર પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પણ આ મુદ્દે તેની ઝાટકણી નીકળી હતી. જાપાન અને વિયેતનામ દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની ઉપસ્થિતિનો વિરોધ કરતા આવ્યા છે.
દક્ષિણ ચીની સમુદ્ર મુક્ત રહે તે જાપાન અને ઓસ્ટ્રેલિયા માટે પણ દ્વિપક્ષીય વેપાર માટે જરૂરી છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ મિસાઈલ્સ વડે સજ્જ એવા ત્રણ જંગી જહાજો ઈન્ડો પેસિફિક સમુદ્રમાં મોકલ્યા છે. અમેરિકાના આ જંગી જહાજો જાપાન, વિયેતનામ અને દક્ષિણ કોરિયાના ઠેકાણાઓ પાસે અભ્યાસ કરશે.
પાછલી પોસ્ટ