૨૦૦૮માં થયેલા મુંબઇ હુમલાના ગુનેગારોને સજા આપવા મુદ્દે પાકિસ્તાન હંમેશાં બચતું રહ્યું છે. પાકિસ્તાનની કોર્ટમાં આ કેસ ઘણા લાબા સમયથી ચાલી રહ્યો છે. ગુરુવારે પણ આ મામલાની સુનાવણી થઇ પરંતુ તે આગળ વધી શકી નહોતી. ઈસ્લામાબાદની એન્ટી ટેરર કોર્ટના જજે મામલાની સુનાવણીને એટલા માટે ટાળી દીધી કારણ કે કોઇ સાક્ષી નિવેદન આપવા માટે રાજી થયા નથી.
ઇસ્લામાબાદ કોર્ટના જસ્ટિસ આમિર ફારૂક અને જસ્ટિસ મોહસિન અખ્તર કિયાનીની પીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું કે, છેલ્લા લાંબા સમયથી આ કેસમાં કોઇ પ્રોગરેસ જોવા મળી રહી નથી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૨૬ સાક્ષીઓનો કોઇ અતો-પતો જાણી શકાયો નથી.
પાકિસ્તાનના એક અખબારના મતે, જજોએ ટિપ્પણી કરતા કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે સાક્ષીઓ ઘણા ડરેલા છે આ કારણથી તે પોતાનું નિવેદન નોંધાવવા માંગતા નથી. કોર્ટે વધુમાં કહ્યું કે, જ્યાં સુધી તમામ સાક્ષીઓ પોતાનું નિવેદન નોંધાવવા માટે કોર્ટમાં રજૂ ના થાય ત્યાં સુધી મામલાની સુનાવણીને આગળ વધારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બર ૨૦૦૮માં થયેલા આ હુમલાના તમામ પુરાવા પાકિસ્તાન તરફ ઇશારો કરે છે. ભારત તરફથી તમામ પુરાવાઓને પાકિસ્તાનની સામે રજૂ પણ કરવામાં આવી ચૂક્યા છે, પરંતુ પાકિસ્તાન હંમેશાં કાન આડા કરી રહ્યું છે અને હજી સુધી કોઇ ન્યાય મળી શક્યો નથી.
તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનથી સમુદ્રના રસ્તે આવનાર લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકીઓ મુંબઇ હુમલામાં સામેલ હતા. આ આતંકીઓએ મુંબઇની તાજ હોટલ, રેલ્વે સ્ટેશન સહિત ઘણા વિસ્તારોમાં હુમલો કર્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ આતંકી હુમલામાં લગભગ ૧૬૬ લોકોના મોત થયા હતા, તેમાં ઘણા વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.
આગળની પોસ્ટ