વિપક્ષ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાયેલો વધારો પાછો ખેંચવાની માંગ કરી છે.
સોમવારે કોંગ્રેસ અધ્યક્ષે એક વીડિયો જાહેર કરતા કહ્યું કે, દેશ માટે મુસીબતનો સમય છે, એવામાં સરકાર નફાખોરી કરી રહી છે. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નફાખોરીના આરોપ લગાવતા ઇંધણના વધેલા ભાવને પાછો ખેંચવાની માંગ કરી હતી.
વીડિયોમાં સોનિયા ગાંધી કહી રહ્યા છે કે, વિતેલા ૩ મહિનામાં મોદી સરકારે ૨૨ વાર પટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો, ૨૦૧૪ પછી મોદી સરકારે જનતાને ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતનો ફાયદો આપવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ૧૨ વાર એક્સાઇઝ ડ્યૂટી વધારીને ૧૮ લાખ કરોડ રુપિયા વસૂલ્યા છે. સરકારની આ નીતિ જનતાના પૈસામાંથી સીધા સરકારી ખાતામાં નાંખવાનુ જગજાહેર ઉદાહરણ છે.
સોનિયા ગાંધીનુ કહેવુ છે કે દિલ્હી જેવા શહેરમાં પેટ્રોલ ભાવ પ્રતિ લીટર ૮૦ રુપિયાથી વધારે છે, જેનુ સીધુ નુકસાન ખેડૂતો, નોકરીયાતો, દેશના મધ્યમવર્ગ, નાના વેપારીઓને પહોંચી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સાથે-સાથે વિતેલા ૨૧ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી રહ્યા હતા, સોમવારે પણ પ્રતિ લીટરના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. આમ છેલ્લા કેટલાય સમયથી પ્રેટ્રોલિયમ પેદાશોનાં ભાવમાં સતત વધારો થયો છે.