એક સમયના અત્યંત પ્રતિભાશાળી ઝડપી બોલર એસ. શ્રીસંતને સમગ્ર દુનિયા ઓળખે છે પરંતુ તેની ક્રિકેટ કરતાં અન્ય કારણોસર. ૨૦૧૩માં આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગને કારણે શ્રીસંત તથા અન્ય કેટલાક ખેલાડી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. હવે સાત વર્ષ બાદ કેરળ ક્રિકેટ એસોસિયેશને તેને કેરળની રણજી ટ્રોફી ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.આ વર્ષે રમાનારી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કેરળે પોતાના સંભવિતોના નામ જાહેર કર્યા છે જેમાં શ્રીસંતનો સમાવેશ કર્યો છે.
૨૦૧૩માં દિલ્હી પોલીસે શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવાણની ધરપકડ કરી હતી. આ ખેલાડીઓ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા. બીસીસીઆઈએ તો તેમની ઉપર આજીવન પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યાર બાદ લાંબા કાનૂની જંગ બાદ ૨૦૧૫માં દિલ્હીની એક કોર્ટે આ ખેલાડીઓ સામેના આરોપો રદ કર્યા હતા.બીસીસીઆઈએ હજી રણજી ટ્રોફી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ કેરળની ટીમના સંભવિતો સપ્ટેમ્બરમાં યોજાનારા કેમ્પમાં ભાગ લેશે જેમાં શ્રીસંત પણ હશે. કેરળનો ઝડપી બોલર સંદીપ વોરિયર આ વર્ષે તામિલનાડુ માટે રમનારો છે ત્યારે એવી આશા રખાય છે કે શ્રીસંતને તેને સ્થાને કેરળ માટે રણજી ટ્રોફીની મેચો રમવાની તક મળશે.
આગળની પોસ્ટ