કવાંટ તાલુકાના સિંહાદા ગામે તાડના વૃક્ષ ઉપરથી ઉતારેલી તાડીના સેવન કર્યા બાદ આદિવાસી પરિવારના ચાર સભ્યોના મોત થયા છે અને એક મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ૪૦ વર્ષીય દેવસિંગ રાઠવાએ ગતરોજ પોતાના ઘરના નજીક આવેલા તાડના વૃક્ષ ની ટોચ ઉપર બાંધેલ માટલી કે જેમાં તાડનો રસ જમા થાય છે તે ઉતારી પોતે અને પોતાના પરિવારના તમામ સભ્યોને પીવડાવ્યું હતું.
આ નશાકારક તાડીના સેવન બાદ ઝેરની અસર થઈ અને અચાનક તાડી પીનાર પાંચે વ્યક્તિઓની તબિયત લથડતા પહેલા પાનવડના સરકારી દવાખાના લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ઘરના મુખીયા દેવસિંગ રાઠવા તેમની ુપત્ની દેરડીબેન રાઠવા અને બંને પુત્ર સુરેશ અને મનીષ રાઠવાનું મોત નીપજ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં તાડ ઉપર તાડી ને મધમાખી અને અન્ય કીટાણુંથી બચાવવા માટે કીટ નાશક દવા મૂકાઈ હતી જે વરસાદ વરસતા તાડીના માટલામાં ભળી ગઈ અને આ ઝેરી તાડીના સેવનથી આખે આખું પરિવાર મોતને ભેટયું છે.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા રેન્જ આઈ.જી. અભય ચુડાસમા, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું છે. પોલીસે ફોરેન્સિક લેબોરેટરીની મદદ લઈ મોત નું સચોટ કારણ જાણવા ની તજવીજ હાથ ધરી છે.
(અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
આગળની પોસ્ટ