યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો દ્વારા વિવિધ મહાનગરોમાં ઉપસ્થિત રહેવાનું આયોજન કરેલ હોઇ તેના ભાગરૂપે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૨૧/૦૬/૨૦૧૭ ના રોજ સરસાણા ચેમ્બર ઓફ કોમર્સ કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે સવારે ૬.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંયુકત રાષ્ટ્ર સંધની પરિષદમાં યોગનું મહત્વ સમજાવી ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવા અપીલ કરી અને તેમના પ્રયત્નો થકી ભારતની મૂળ સંસ્કૃતિ અને કળા એવા યોગને આજે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે.
યોગથી શારીરિક તંદુરસ્તી તો મળે જ છે પરંતુ સાથે સાથે મનની શાંતિ પણ મળે છે અને શરીરમાં એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. આરોગ્યની સાથે લાંબુ આયુષ્ય યોગ મારફત મેળવી શકાય છે તે વાત પૂરા વિશ્વએ સ્વીકારી અને તેમના રોજબરોજના વ્યવહારમાં યોગને એક ભાગ બનાવેલ છે. દરેક ભારતીય આ બાબત માટે ગૌરવ લઇ શકે છે.
જયારે સમગ્ર વિશ્વ એક થઇને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહયુ હોય ત્યારે દેશના તમામ નાગરિકોને આ યોગ મહોત્સવમાં જોડાવા સરકારશ્રી દ્વારા આહવાન કરવામાં આવેલ છે.