વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી શરૃ કરવામાં આવેલુ વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા ૧૮ વર્ષથી એટલે કે કેન્દ્ર શરૂ થયુ ત્યારથી જ બંધ છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાતમાં વ્યસન મુક્તિ કેન્દ્રોની શું સ્થિતિ છે તે અંગે વધુ તપાસ કરતા માલુમ પડયુ કે આખા દેશમાં વ્યસન મુક્તિ કેન્દ્રોના મામલે ગુજરાતનો નંબર છેવાડાનો છે જ્યારે કે તમાકુ દ્વારા થતા ઓરલ કેન્સરમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે.કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં મળીને સન ૨૦૧૫ સુધી ૩૯૧ વ્યસન મુક્તિ કેન્દ્રો (ઇન્ટીગ્રેટેડ રીહેબિલીટેશન સેન્ટર-આઇ.આર.સી.)ની સ્થાપના કરવામાં આવી છે અને આ આઇ.આર.સી.ની સરકારી સંસ્થાઓ, એનજીઓ અને સ્વયંસેવી સંસ્થાઓને ચલાવવા માટે આપ્યા છે અને તે માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ગ્રાન્ટ પણ આપે છે. પરંતુ આઇઆરસીની ફાળવણી કરવામાં અથવા તો ગુજરાત સરકાર દ્વારા તેની માંગણી કરવામાં રાખવામાં આવેલી કચાશના કારણે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં નહીવત આઇ.આર.સી. ફાળવવામાં આવ્યા છે જેમ કે કેરળમાં ૩૪, ઓરિસ્સામાં ૩૩, ઉત્તર પ્રદેશમાં ૨૯ છે તો ગુજરાતમાં માત્ર ૮ સેન્ટરો છે. હવે જો દેશની વસ્તીની દ્રષ્ટીએ આઇ.આર.સી.ની ગણતરી કરીએ તો દેશમાં દર ૩૧ લાખની વસ્તીએ એક આઇ.આર.સી.છે તેની સામે ગુજરાતમાં ઓરલ કેન્સરના કેસ દેશમાં સૌથી વધુ હોવા છતાં ૭૬ લાખની વસ્તીએ એક સેન્ટર છે. હકિકતે દેશની સરેરાશ જોતા ગુજરાતમાં ઓછામાં ઓછા ૨૦ સેન્ટરોની જરૃર છે.ગુજરાતને છોડીને બીજુ રાજ્ય બિહાર છે કે જ્યાં ૮૬.૭૪ લાખની વસતીએ એક સેન્ટર છે. બીજી તરફ સેન્ટરોને મળતી ગ્રાન્ટના મામલે પણ ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે. દેશમાં એક સેન્ટર દીઠ સરેરાશ રૃ.૭.૮૭ લાખની ગ્રાન્ટ મળે છે જ્યારે ગુજરાતમાં એક સેન્ટર દીઠ માત્ર રૃ.૪.૫૦ લાખ ગ્રાન્ટ મળી રહી છે.