તા.૧૯ જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ભવન ખાતે મોરારિબાપુ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં અનુસ્નાતક શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. સાથે જ યુનિ.ના ગીત અને એકેડેમિક કેલેન્ડરનું વિમોચન અને સ્માર્ટ કલાસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે નરસિંહના પાંચ વિચારો તેમની કૃતિમાં જોવા મળે છે. મોરારિબાપુએ નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો ટાંકીને છણાવટ કરતાં કહ્યું કે આ પાંચ વિચારો- અભય, અભેદ,અહિંસા, અમન અને અક્રૂરતા યુનિવર્સિટી ગ્રહણ કરે અને વિદ્યાર્થીઓ તેને અનુસરે તે સમાજની જરૂરિયાત છે. . શિક્ષણ સેવાનું માધ્યમ બને અને વ્યવસાય ન બને તે માટે પણ કેળવણીકારોને જાગૃત થવા અનુરોધ કર્યો હતો.
શિક્ષણપ્રધાન ચૂડાસમાએ કહ્યું કે, ગુજરાતમાં સંસ્કાર સાથે શિક્ષણ આપવાનો પ્રયાસ સાધુસંતોના આશીર્વાદ અને સજજ્ન વિદ્વાનોના સહકારથી કરવામાં આવ્યો છે. યુનિમાં સ્માર્ટ કલાસના પ્રોજેકટને આવકારી રાજયની ૧૨૦૦ શાળામાં સ્માર્ટ ઇ લર્નીંગ કલાસ શરૂ થવા જઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું..કવિ શેખડીવાલાને રૂ.૧૧૦૦૦ અને લોગો ડીઝાનર્સને રૂ.૫૦૦૦થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સુરક્ષાનિધિ અંતર્ગત દિવંગત વિદ્યાર્થીઓના વાલીને રૂ. ૧ -૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
પુરાતત્વવિદ પી.પી પંડયાના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ કવિ કાગની કલાકારોને સન્માન ઝંખતી જાણીતી રચના રજૂ કરી ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના પ્રયાસોને આવકાર્યાં હતાં.